ફિલ્મ – રાજા ભરથરી (૧૯૭૩)
સંગીત, શબ્દ – અવિનાશ વ્યાસ
સ્વર – મહેન્દ્રકપુર, સુમનકલ્યાણપૂર
ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…!
ભિક્ષા દે ને મૈયા પિંગળા…!
ભેખ રે ઉતારો રાજા ભરથરી
હૈયું કરે છે પોકાર, રાજા ભરથરી
ભેખ રે ઉતારો રાજા ભરથરી…!
કેમ રે જોવાશે ભેખ તમારો, ખાવું ઝેર કટાર…હો…ઓ..
કેસર-ચંદન છોડીને રાજા, ધર્યો કાં ભભૂત અવતાર, રાજા ભરથરી
ભેખ રે ઉતારો રાજા ભરથરી…!
લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર…હો..ઓ..
કંચન-શી કાયા તો રાખ થવાની, શોભે નહીં શણગાર, મૈયા પિંગળા
ભિક્ષા દે ને મૈયા પિંગળા…!
રંગ રેલાવું રાજા મ્હેલમાં મારા, રેલાવું રંગધાર…હો…ઓ..
દયા કરી મને છોડો ના એકલી, મારગ બીચ મઝધાર, રાજા ભરથરી
ભેખ રે ઉતારો રાજા ભરથરી…!
જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…ઓ..
અલખ નિરંજનની ધૂણી ધખાવી, થાવા ભવસાગર પાર, મૈયા પિંગળા
ભિક્ષા દે ને મૈયા પિંગળા…!
ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર, મૈયા પિંગળા
ભેખ રે ઉતારો રાજા ભરથરી…!
ભિક્ષા દે ને મૈયા પિંગળા…!
***
રાજા ભર્તુહરિ, જેનો અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે, એ બત્રીસલક્ષણો રાજા હતો. સુંદર રીતે રાજ કરતો અને પ્રજામાં ખૂબ જ પ્રિય હતો. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હતી.
એકવાર રાજ્યમાં એક મહાત્મા આવ્યા. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થયા અને રાજાને અમરફળ આપ્યું, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે.પણ રાજાએ એ ફળ રાણીને આપ્યું જેથી તેની પ્રિય રાણી અમર રહે.. જ્યારે રાણી રાજ્યના અશ્વપાળને એક્તરફી પ્રેમ કરતી હોવાથી તે ફળ તેને આપ્યું.અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરતો એથી એ ફળ નર્તકીને આપ્યું.રાજનર્તકી ખૂબ સમજદાર હોવાથી એ પણ ફળ ખાતી નથી અને વિચાર્યુ કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે.એટ્લે એ રાજા પાસે ગઇ અને એ ફળ એમને આપ્યું,રાજા તો એક પળ ચમકી ગયો પરંતુ તરત વાત ને પામી ગયો અને વૈરાગ્ય આવી ગયો તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવ્યો.. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે.
ફિલ્મની વાર્તા અનુસાર પિંગળા (સ્નેહલતા) બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા (ઊપેન્દ્ર ત્રિવેદી) પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.
{ સ્તોત્ર – વેબ પરથી }
5 Responses to ભિક્ષા દે ને મૈયા…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments