Home Blue

Darshan – Aath sama…

મિત્રો, આજે મારાં પૂજ્ય મમ્મી તથા સમન્વયનાં જન્મદિનની ખુશી.. એમાં પણ સમન્વયનાં આઠમા જન્મદિને શ્રીઠાકોરજીનાં અષ્ટ સમાનાં દર્શન અને તેનું મહાત્મ્ય રજુ કરી રહી છું.! જયશ્રીકૃષ્ણ..

શ્રીઠાકોરજીનાં દર્શનનું માહાત્મ્ય અનેરું છે.. આઠે સમાના દર્શન અલગ સ્વરૂપમાં હોય છે..શ્રીજીના વિવિધ સ્વરૂપના દર્શન કરીને જીવ શ્રીજીના શરણે જાય છે..!

***

પુષ્ટિ સંપ્રદાયમાં આઠ પ્રહરની અષ્ટયામ સેવા (સવારે ‘મંગળા’થી રાત્રે ‘શયન’ સુધીનાં આઠ દર્શન)

શ્રીઠાકોરજીનાં દર્શનનું માહાત્મ્ય અનેરું છે.. આઠે સમાના દર્શન અલગ સ્વરૂપમાં હોય છે..શ્રીજીના વિવિધ સ્વરૂપના દર્શન કરીને જીવ શ્રીજીના શરણે જાય છે..!
પુષ્ટિ સંપ્રદાયના પરમ આરાઘ્ય નંદ-નંદન શ્રીકૃષ્ણ સાક્ષાત્ પરબ્રહ્મ છે.  તેથી આ સંપ્રદાયની મુખ્ય પીઠ શ્રીનાથદ્વારામાં તથા દેશ-વિદેશની બધી પુષ્ટિ માર્ગી હવેલીઓ અને મંદિરોમાં સવારથી સાંજ સુધીના આઠ પ્રહરની જે અષ્ટયામ સેવા (મંગળા, શ્રૃંગાર, ગોવાળ, રાજભોગ, ઉત્થાપન, સંઘ્યાભોગ, સંઘ્યા આરતી અને શયન) થાય છે તે તમામ દિનચર્યા બાલકૃષ્ણની લીલાઓને ઘ્યાનમાં રાખીને બાળકની વિભાવનાથી કરવામાં આવે છે. આ આઠ દર્શનોમાં ગરમી અને ઠંડીની ઋતુઓમાં પંખાથી હવા વીંઝવાની કે ઠંડીમાં સગડીની વ્યવસ્થા કરવામાં આવે છે. બાળકને ભૂખ જલ્દી લાગે એટલે ભોગ પણ ધરાવવામાં આવે છે. દરેક દર્શન વેળાએ અષ્ટ-સખા કીર્તનકારોનાં ભજન-કીર્તન ગાવાનો મહિમા છે.

 ૧.  મંગળા ઃ  આ દર્શન શિયાળામાં વહેલી સવારે પાંચથી સાડા પાંચ વાગ્યા સુધી અને ઉનાળામાં સવારે છથી સાડા છ વાગ્યા સુધી ખુલે છે. ઠંડીની ઋતુમાં માત્ર મુખારવિંદનાં અને ગરમીમાં સંપૂર્ણ સ્વરૂપ દર્શન થાય છે. ભગવાનને દૂધ, સાકર, ખીર, બાસુંદીનો ભોગ ધરાવવામાં આવે છે. કીર્તનકાર પરમાણંદદાસજીનાં પદો આ સમય ગવાય છે.

૨.  શ્રૃંગાર ઃ  મંગળાના દર્શન પછી શ્રૃંગાર દર્શનનો પટ ખુલે છે. જુદી જુદી ઋતુઓ મુજબ શ્રૃંગાર હોય છે. મેવો ભોગમાં મુખ્યરૂપે ધરાવાય છે. મંગળામાં ‘માખણ-પ્રિય’ના ભાવથી અને ગોકુળ-ચન્દ્રમાના ભાવથી સેવા કરવામાં આવે છે. નંદદાસજીનાં પદોનું ગાયન થાય છે.

૩. ગોવાળ ઃ  આ દર્શન વખતે ઘૂપ-દીપ કરવામાં આવે છે. ભગવાનને ખાખરી બાટી, શ્રીખંડ, ખીર, બાસુંદીનો ભોગ ધરાવવામાં આવે છે. આ દર્શન શ્રી દ્વારકાનાથજીના ભાવ સાથે ખુલે છે. કીર્તનકાર ગોવિંદસ્વામી છે.

 ૪.  રાજભોગ ઃ  આ પ્રાતઃકાળનાં સૌથી મોટાં દર્શન છે. આ દર્શન દરમ્યાન વૈષ્ણવોની બહુ ભીડ રહે છે. દર્શનમાં ધરાવાતો ‘કુસુમહાર’ ખુબ જ સુંદર હોય છે. ભોગમાં સખડી અને અનસખડી બન્ને પ્રકારની ભોગ સામગ્રી ધરાય છે. ભગવાન પાસે એક પેટીમાં રમકડાં તથા પાનનું બીડું પણ હોય છે. આ દર્શન શ્રીનાથજીના ભાવથી હોય છે અને શ્રી કુંભનદાસજી આ દર્શનના કીર્તનકાર મનાય છે. આ દર્શન વખતે ઘ્વજા ચડાવવામાં આવે છે અને શ્રી સુદર્શનજીને અત્તરનો ભોગ ધરાવવામાં આવે છે ત્યારે ઢોલ નગારાંનો અવાજ નક્કારખાનામાંથી ગૂંજે છે.

૫.   ઉત્થાપન ઃ  સવારનાં ચાર દર્શનો પછી લગભગ બપોરે ત્રણ વાગે શંખનાદ થાય છે જેથી ખબર પડે કે ભગવાન શ્રીનાથજી વિશ્રામ બાદ ઊઠી ગયા છે. દર્શન પછી ભગવાનને ફળ, દૂધમાંથી બનેલી સામગ્રી, બાલભોગની થાબડીનો ભોગ ધરાવવામાં આવે છે. આ દર્શનમાં મથુરાના ઇશ્વર તરીકેનો ભાવ છે. શ્રી સૂરદાસ કીર્તનકાર છે.

૬.  ભોગ ઃ  આ દર્શન વખતે ઉનાળા દરમ્યાન પાણીના ફુવારા તથા શિયાળામાં સગડી રાખવામાં આવે છે. ફળ અને સ્વાદિષ્ટ સામગ્રીનો ભોગ લગાવાય છે અને ફૂલોનો શણગાર કરવામાં આવે છે. આ દર્શન શ્રી ગોકુળનાથજીના ભાવ સાથે થાય છે. કીર્તનકાર શ્રી ચતુર્ભુજદાસજી છે.

૭.  આરતી ઃ  આ ‘આરતી’ દર્શનનો ભાવ એ છે કે જ્યારે પુરાતન કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ ગાયો ચરાવીને જંગલમાંથી પાછા આવતા ત્યારે માતા યશોદા ખૂબ જ પ્રસન્ન થઇ ભગવાનની આરતી ઉતારતાં હતાં. તેથી જ દર્શન ખુલતાં જ આરતી ઉતારાય છે. આ દર્શન શ્રી વિઠ્ઠલનાથજીના ભાવથી થાય છે. કીર્તનકાર શ્રી છીતસ્વામીજી છે.

૮.  શયન ઃ  આ દર્શન આખું વર્ષ નથી થતાં. દશેરાથી માગશર મહિનાની સાતમ સુધી અને વસંત પંચમીથી રામનવમી સુધી દર્શન બહાર થાય છે. સખડી, અનસખડીની સામગ્રી ધરાવવામાં આવે છે. શ્રી સુદર્શનજીને પણ ભોગ લગાવવામાં આવે છે. દર્શન શ્રી મદન મોહનજીના ભાવથી થાય છે અને શ્રી કૃષ્ણદાસજી કીર્તનકાર છે.
આ આઠ દર્શનો પછી ભગવાન પોઢી જાય છે. પુષ્ટિ માર્ગમાં આ દર્શનોને ‘ઝાંખી’ પણ કહે છે. રતન ચોકમાં દર્શન કરી, ઘુ્રવ બારીમાં નમન કરી કમલ ચોકના એક ખૂણે રાખેલી આરતી આંખે તથા માથે લગાવી વૈષ્ણવો પ્રસન્નતાનો અનુભવ કરે છે.
રાજભોગનાં દર્શન પછી શાકઘર સામેનાં પગથિયાં ચડી ઉપર છત પર બિરાજમાન શ્રી ચક્રરાજ સુદર્શન અને શ્રીનાથજીની સાત ઘ્વજાઓના દર્શનનો પુણ્યલાભ ઉઠાવી શકાય છે. નીચેના કક્ષમાં શ્રીનાથજી બિરાજે છે. તેની છત પર એક ચબુતરો છે જ્યાં ચાર સિંહો ઉપર એક કળસ અને સુદર્શન ચક્ર છે. વૈષ્ણવો તેને અત્તરનો ભોગ ધરાવે છે. શુઘ્ધ અત્તર ધરાવવાથી મન શુઘ્ધ થાય છે અને મનોકામના પૂરી થાય છે.
શ્રી સુદર્શન ચક્ર ઃ  આપણાં ધર્મશાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુનાં મહાશક્તિ સંપન્ન શસ્ત્રોનું વિસ્તારપૂર્વક વર્ણન આવે છે. શ્રી વિષ્ણુ ભગવાન શસ્ત્ર તરીકે શ્રી સુદર્શન ચક્ર ધારણ કરે છે. મહાભાગવત રાજ અમ્બરીષના વર્ણન મુજબ આ ચક્ર સમસ્ત લોકોની રક્ષા કરનારૂં અને પરમ પુરૂષ પરમાત્માનું સર્વશ્રેષ્ઠ તેજ છે. તેથી દેવરાજ ઇન્દ્ર પણ તેની પૂજા કરે છે. એમ પણ કહેવાય છે કે આ ચક્ર જગન્નાથપુરી પાસે સમુદ્ર-જળમાં વિશ્રામ કરે છે.

શ્રી ઘ્વજાજી ઃ  શ્રી ઘ્વજાજીના સાત રંગો છે – લીલી, પીળી, શ્યામ, ભૂરી, સફેદ, જાંબલી અને ગુલાબી, ઘ્વજા માત્ર કાપડ જ નથી પણ તે ભગવદ સ્વરૂપ રૂપે છે. સાત રંગ એટલા માટે છે કે ભગવાને સાત વર્ષની ઉંમરે જ સાત દિવસ સુધી ગિરિરાજને ધારણ કર્યો હતો, સાત લોક છે, પ્રભુચરણ શ્રી ગોસાઇજીને સાત બાળકો છે, ભગવાનની વેણુમાં સાત છિદ્રો છે તથા શ્રીજીનો પાટોત્સવ પણ મહા વદ સાતમના રોજ છે. તેથી જ નગરો-ગામોના શ્રઘ્ધાળુ વૈષ્ણવો ઉલ્લાસપૂર્વક ઘ્વજા ચડાવવાનો મનોરથ રાખે છે. ત્યારે શ્રીજીની ઘ્વજા નાથદ્વારાથી બસમાં જુદે જુદે સ્થળે પધરાવાય છે, ભોગ લગાવવામાં આવે છે એ અને આરતીનાં દર્શન થાય છે.

 ***

This entry was posted in Others, Shriji. Bookmark the permalink.

bottom musical line

5 Responses to Darshan – Aath sama…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to KALPANABEN SWADIA Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Ktishnna says:

    Bov j fine lakhiyu chhe.

  2. pragnaju says:

    આટલું ભાવભીનું મહાત્મ્ય ઓછા સંતો સમજાવતા હોય છે.
    અષ્ટયામ દર્શનનો લાભ આપવા બદલ ધન્યવાદ

  3. Chetu says:

    આપ સહુનો ખૂબ આભાર

  4. KALPANABEN SWADIA says:

    ..”સમન્વયે” આ દુર્લભ દર્શન દ્વારા એક નવુઁ સોપાન સર કર્યુઁ ….તમારેી સાધનાને કોટિ કોટિ નમસ્કાર્.

    કલ્પનાબેન