Category: ઝાકળબિંદુઓ * સ્વ-રચિત

મૈત્રીની મ્હેંક…

By , July 31, 2010 9:19 pm

1684956726_1584e33e9d[1]

***

શુભ આજે બહુ વ્યસ્ત હતો … એક પછી એક કાર્ડ લખીને એક તરફ મૂકી, બોલતો જતો હતો કે ઉફ્ફ ..હવે આ કાર્ડ્સ પુરા થાય તો સારું … અને હાથમાં એક કાર્ડ આવ્યું .. વળી એકતરફ મુક્યું .. ને બીજું લીધું .. હમમમ … આ દીપને માટે સારું છે … પેલું બંટી માટે .. હા, આમાં ખાસ કશું લખેલ નથી એ પેલી ચિબાવલી ટીશા માટે.. લાસ્ટ યર એ મારી નોટબુક લઇ ગઈ તે પાછી આપી જ નહિ .. ને કહે કે ખોવાઈ ગઈ.. સાવ ખોટાડી છે એ તો. આમ તો એને કાર્ડ મોકલવાની ઈચ્છા જ નથી થતી .. પણ ગૃપમાં રહી ને ? કર્ટસી માટે પણ મોકલવું પડે ..! ચાલે ..એટલે જ એને તો આવું સિમ્પલ કાર્ડ જ મોકલી આપીશ … આવા બે કાર્ડ્સ છે ..પેલા અંશુને પણ એ જ મોકલું .. કાયમ મારી સાથે આર્ગ્યુંમેન્ટ જ કરતો હોય…!!પછી કૈક સારા લખાણ વાળું કાર્ડ હાથમાં આવ્યું .. હમમ .. આ પીન્ટુ ને મોકલું .. !! એ તો ગૃપમાં આવે તો પણ શાંતિથી બધાને સાંભળે …કશા પ્રોબ્લેમ્સ ક્રિએટ ના કરે .. એના માટે આવું કૈક સારું જ મોકલાય ..! અને અહા.. આ તો કે ..ટ ..લુ .. સરસ કાર્ડ છે !! આ તો નીલને જ મોકલું … એ કાયમ મારી વાત માને છે ..!! હંમેશ મારી ફેવરમાં જ હોય ..!!

શીલા ક્યારની તેના ૧૧ વર્ષના પુત્રની આ બધી હરકત જોઈ રહી હતી .. તેને પૂછ્યું …શુભ, શું આ બધા પથારા કર્યા છે ? અને આટલા બધા કાર્ડ્સ ?

‘ઓહો મમ્મી .. તને એટલું પણ યાદ નથી કે આજે ” ફ્રેન્ડશીપ ડે ” છે ? તો બધા ફ્રેન્ડસ ને કાર્ડ્સ મોકલવા પડે ને ?”

શીલા હસી… ‘શુભ, તું તો એવી રીતે કાર્ડ્સ લખવા બેઠો છે જાણે કે કંકોત્રીઓ લખી રહ્યો હોય..!!’ બેટા તમે લોકો જેને ફ્રેન્ડશીપ ડે કહો છો એવા અમારે તો ૩૬૫ દિવસ હોય .. !!

ત્યાં તો ડોરબેલ રણકી ..વર્ષો જુના નોકર કેશવે બારણું ખોલ્યું …શીલા અને શુભ રૂમમાંથી બહાર આવ્યા …ને શીલાની આંખ ચમકી ઉઠી ..!!

***

આ તરફ રાજનની ઓફીસમાં મહત્વની મિટીંગ ચાલી રહી હતી..પરંતુ રાજનનું મન ના જાણે કેમ બેચેન હતું .. વારે વારે ઘડિયાળ તરફ નજર કરતા રાજનને તેના સેક્રેટરીએ પૂછ્યું કે સર, આજે આપનું ધ્યાન ક્યા છે ? જે વિષય પર ચર્ચા ચાલી રહી છે, એનાથી વિરુદ્ધ મંતવ્યો તમે આપી રહ્યા છો..પરંતુ રાજનની અકળામણ વધી ને અંતે કહી દીધુ કે આજની મિટીંગ કેન્સલ ..!! બધા આશ્ચર્યથી જોઈ રહ્યા ..!! જે બોસ કાયમ સમયના પાબંધ .. પુરેપુરી ડિસીપ્લીનના આગ્રહી..કોઈ કાર્ય અધૂરું ના મુકે એવા બોસ, આજે આ મહત્વની મીટીંગને કેન્સલ કરીને કેટલું મોટું નુકશાન વ્હોરી રહ્યા છે ? .. અંદરોઅંદર સ્ટાફમાં પણ ઘણી વાતો થઇ પરંતુ, રાજનને તો ઉતાવળ હતી ..ઓફિસમાંથી નીકળીને જલ્દી કારમાં ઘર તરફ જવા નીકળી ગયો…રસ્તામાં ડ્રાઈવરને પણ કારની સ્પીડ વધારવાની સુચના આપી … પરંતુ ટ્રાફિક .. !! અને એ પણ મુંબઈનો ..!! આજે તો રાજનની હાલત જોઈ ડ્રાઈવરને પણ કુતૂહલ થયું ..અંતે એ ઘરે તો પહોચ્યો.. રઘવાયો થઈને ઘરમાં કોઈને શોધવા લાગ્યો… !!

કોઈ ના દેખાયું એટલે શીલાના નામની બુમો પાડી … શીલા આવી ને કંઈ કહે એ પહેલા,

‘શીલા .. શીલા.. કેટલા વાગ્યા ..? ડ્રાઈવરને મોકલ્યો ?

‘મેં ભૂલ કરી ..આજે હું ઓફીસ ના ગયો હોત તો…અરે ઓફીસથી સીધો હું સ્ટેશન પર ગયો હોત તો..!!’

શીલા મીઠું મલકી : શાંતિ રાખો રાજન … !

‘અરે પણ તને ખબર છે કે …’

‘હા હા.. મને બધી ખબર છે ..’

‘તો પછી..? ચાલ હવે જલ્દી જઈએ …’

‘કયાંય જવાની જરૂર નથી …વિરેનભાઈ આવી ગયા છે ..

‘હેં ..??? ક્યા છે ? મને કેમ દેખાતો નથી ..??

ડ્રાઈવર અને ઘરના નોકરોએ ક્યારેય પોતાના શેઠને આવી રીતે રઘવાયા થતા નહોતા જોયા ..શુભ પણ ડેડીનું આવું રૂપ પહેલી વાર જ જોઈ રહ્યો..!!

‘અરે શાંતિ રાખો રાજન… વિરેનભાઈને જરા ફ્રેશ થવા માટે ગેસ્ટરૂમમાં મોકલ્યા છે …’ શીલા ફરી મલકી ને શુભ તરફ જોયું … શુભ તો અવાચક… ડેડીની સામે જ જોઈ રહ્યો હતો …!!

ત્યાં તો વિરેન પણ રૂમમાં થી બહાર આવ્યો … રાજને તો હાથમાંની એટેચી-બેગને સોફા પર ફંગોળી અને વિરેનને ભેટી પડ્યો …બન્નેની આંખોમાંથી અમીધારા વહેવા લાગી .. ઓફિસમાં કડકાઈ અને કઠોરતાનું મહોરું પહેરતો રાજન અત્યારે મીણ જેવો નરમ દેખાતો હતો.. આફટર ઓલ ૧૫ વરસ પછી બન્ને મિત્રો રૂબરૂ મળી રહ્યા હતા ..!!!

વિરેન ગુજરાતમાં સ્થાયી થયો હતો અને રાજનને બિઝનેસ માટે દેશ-વિદેશ ફરવું પડતું .. તેથી બહુ સમય મળતો જ નહીં .. પરંતુ બન્નેની દોસ્તી અતુટ હતી … ભલે રૂબરૂ નહોતા મળતા, પરંતુ પત્રવ્યવહાર ચાલુ હતો એ પછી ફોન અને ઈમેલ દ્વારા પણ સંપર્ક ચાલુ જ રહેતો …રાજનની આર્થિક પરિસ્થિતિ વિરેન કરતા ઘણી સારી હતી છતાં પણ ક્યારેય બન્નેના સંબંધ વચ્ચે એવા કોઈ જ પરિબળો નહોતા આવ્યા કે એમની મૈત્રીમાં કોઈ ભંગ પડે… અગર કોઈ ગેરસમજ થતી તો પણ બંનેને એકબીજા વિના ચેન ના પડતું.

રાજને ઘણીવાર વિરેનને ખબર પણ ના હોય એવી રીતે ગુપ્ત મદદ કરી હતી ..કારણકે એ જાણતો હતો કે વિરેન જેવો સ્વમાની વ્યક્તિ એમ જ તો મદદ નહીં જ સ્વીકારે .. અને વિરેને પણ ક્યારેય રાજન તરફથી કોઈ જ અપેક્ષા રાખી નહોતી .. !!

પછી તો અલકમલકની વાતોનો દોર ચાલુ થયો .. વચ્ચે વચ્ચે જુના સંસ્મરણો તાજા થયા.. બાળપણમાં કેવા તોફાનો કરતા .. કોઈના ખેતરે જઈને કાંઈ ને કાંઈ ટીખળ કરી આવતા …અને એકના બદલે બીજા એ સજા ભોગવી હતી વિગેરે, બંનેની મૈત્રીના અનેક પ્રસંગો, શુભ એકાગ્રતાથી સાંભળતો રહ્યો…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બચપણમાં હંમેશ જે ગીત લલકારતા, ‘તિનક તિનક તીન્તારા …’ એ શીલાના આગ્રહથી ફરી બન્નેએ સાથે ગાવાનું ચાલુ કર્યું, જેમાં શીલા અને શુભ પણ જોડાયા ને મૈત્રીની મ્હેંકથી વાતાવરણ સુગંધિત થઇ ગયું ..!!! ..

ગીત ગાતા ગાતા શુભનું ધ્યાન પેલા કાર્ડસ તરફ ગયું..તેણે બધા જ કાર્ડસ ફાડી નાખ્યા અને એક નવું કાર્ડ લખવા બેસી ગયો..!!

***

Related Posts
ફ્રેન્ડશીપ
દોસ્તી

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

શુભ – અશુભ ?

By , April 16, 2010 8:45 pm

***

સુબોધભાઈ અને સરિતાબહેન મધ્યમવર્ગીય દંપતિ.. એકમેકનાં સાથ સહકારથી જીવન વિતાવતા હતા.. એમની અનમોલ સંપત્તિમાં એક પુત્ર અને એક પુત્રી .. બંને બાળકોનો ખુબ સારી રીતે ઉછેર કરી, સારા સંસ્કારોનું સિંચન કરી ભણાવ્યા .. સમય ને વિતતા ક્યા “સમય” લાગે છે ..? પુત્રી જલ્પા ગ્રેજ્યુએટ થઇ ગઈ એટલે સાસરે વળાવી.. પુત્ર જીગર હજુ કોલેજમાં હતો, ત્યાં સુબોધભાઈ શ્રીજીચરણ પામ્યા … સરિતાબહેન પર તો આભ તૂટી પડ્યું ..સુબોધભાઈ વિનાનું જીવન કલ્પી પણ નહોતા શકતા, પરંતુ ઈશ્વર પાસે લાચાર હતા..આમ જ દિવસો પસાર થયા ને જીગર પણ ગ્રેજ્યુએટ થઇ ગયો અને સારી કંપનીમાં જોબ મળી ગઈ .. માતા – પુત્ર હવે એકમેક નો સહારો હતા… સમય જતા જીગરનાં લગ્નની વાત ચાલી ..અને સુબોધભાઈના જ મિત્ર રમણભાઈ ની પુત્રી વિદ્યા જોડે લગ્ન લેવાયા .. લગ્ન સમયે બધી શુભ વિધિ જીગરની બહેન જલ્પાનાં શુભ હસ્તે સંપન્ન થઇ.. રંગે સંગે જાન માંડવેથી પરત આવી … ઘર આંગણે વરઘોડીયાને સત્કારવા અને પોંખવાની શુભ ઘડી આવી .. અને બહેન જલ્પા કળશ લઇ ને આગળ આવી ત્યાં જ જીગરે તેણીને રોકી .. દીદી.. આ શુભ કાર્ય આપણા મમ્મીનાં હસ્તક થાય એવી મારી ઇચ્છા છે .. ત્યાં તો સમાજ નાં અગ્રણી વડીલો કહેવા લાગ્યા કે, ના.. ! જીગર , … આ કાર્ય તારા મમ્મી દ્વારા નાં થાય.. એક વિધવા આ શુભ કાર્ય કરી શકે નહિ …આ કાર્ય તો સોહાગણ જ કરે ..!!

જીગરથી આ સહન નાં થયું .. અને તેનાથી વડીલો ને કહેવાઈ ગયું કે આજે સવારથી હું આ જ બધું સાંભળી રહ્યો છું .. ચાલો મારી દીદીનાં હસ્તક બધા શુભ કાર્યો કરાવ્યા એ સારું જ છે પરંતુ, જયારે પણ હું કોઈ વડીલને પૂછું તો કહે કે, મમ્મીથી ના કરાય…”

પરંતુ, હું પૂછું છું ..કેમ..? શા માટે ..? કોઈ માં પોતાના બાળકનું અશુભ કદીય વિચારતી હશે..? શું તે આ શુભ કાર્ય કરશે તો, મારી જિંદગીમાં કોઈ અપશુકન થઇ જાવાનું છે ..? અરે, મને તો મારું આ જીવન જ મારી માં નું દીધેલ છે .. જેમણે મને નવ- નવ મહિના પોતાના ગર્ભમાં, દુ:ખ -દર્દ વેઠીને પણ સલામત રાખ્યો, એ મારું શું અશુભ કરી લેવાની છે..? માં તો હમેશ પોતાના બાળકનું હિત જ ઈચ્છે છે.. શુભ ઈચ્છે છે.. માં નાં આશીર્વાદ તો હંમેશ શુભ જ હોય છે …!
જુવો, મને મારી મમ્મી પોંખશે , તો જ હું ઘરની અંદર પગ મુકીશ .. અંતે જીગરની ઈચ્છાને માન આપી સરિતાબહેને જ વરઘોડીયાને પોખ્યા .. અને સમાજનાં અગ્રણી લોકો બે ચાર વાતો કરીને છુટા પડ્યા ..

અત્યારે તો જીગર એક સફળ બીઝનેસમેન તરીકે ઓળખાય છે .. જીગરનાં બંને સંતાનો પણ પ્રખ્યાત યુનિવર્સીટીમાં છે ..વિદ્યા અને સરિતાબહેને સોશિયલ ગૃપ બનાવ્યું છે, ને સમાજ સેવાના કાર્યો કરે છે… જીગર -વિદ્યાના લગ્નને ( પોંખવાની વાતને ) આટલા વરસો વીતી ગયા છે …અને સર્વ મંગલમ હી મંગલમ ..!!

***

……………………………………………………………………………………………………………………………………………………………..

***

મીતાને એક સંબંધીને ત્યાં વહુના સિમંત પ્રસંગે જવાનું થયું… ખૂબ સરસ વાતાવરણમાં બધા ખુશીથી છલકતા હતા .. મીતા અને તેણીની પિત્રાઈ ભાભી પ્રિયા ઘણા સમયે મળ્યા એટલે એક તરફ બેઠા હતા અને એ બન્ને વચ્ચે નણંદ -ભાભી કરતા તો મૈત્રીપૂર્ણ સંબંધો વધારે હતા ..{ પ્રિયાનાં પતિનું લગ્નના અમુક વર્ષો બાદ તરત જ મૃત્યુ થયેલ અને પ્રિયા તો ઉમરમાં પણ નાની હતી, પરંતુ પોતે ફરી લગ્ન કર્યા જ નહિ..! } પ્રિયા અને મીતા વચ્ચે ઘણી વખત કોઈ ને કોઈ વાતોની ચર્ચા ચાલતી જ હોય .. એવામાં મહેમાનો વચ્ચે કોઈ વાત થઇ રહી હતી ..સિમંત પ્રસંગે પહેરવાની સાડી, દીકરી એ પહેલેથી ના જોવાય…પ્રસંગ વખતે જ જોઈ શકે એવી બધી વાતો વહુના કાકી કરી રહ્યા હતા ત્યાં જ વહુના સસરાએ કહ્યું કે અમે તો બતાવી છે હો..! તમારી જેમ એ અમારી પણ દીકરી જ છે અને તેને ગમે એવી જ લેવાની હોય ને ..? તમે લોકોએ કહેલું કે , અમારા તરફથી તમે સાડી લઇ લેજો એટલે અમે તો વહુને લઇ ને જ ખરીદી કરવા ગયા હતા ….!!

ત્યાં તો આ બધા રિવાજોની વાત ચાલી .. મીતા બોલી કે, કેવું છે નહિ..? આ બધા રિવાજો આમ કરાય , તેમ નાં કરાય …પ્રિયા એ તરતજ કહ્યું , હા અમુક વાતો તો સમજાતી જ નથી.. મીતુબેન, અત્યારે જુવો તો મારાથી કોઈ જ શુભ કાર્યો ના થાય ..હું કરું તો અપશુકન થાય … પરંતુ જો હું પુન:લગ્ન કરું તો એ બધા જ કાર્યો કરી શકું …હું શુભ થઇ જાઉ ..!!
મીતા પણ આ વાતને લઈને વિચારતી રહી કે રાજા રામમોહનરાયે સતી-પ્રથા તો નાબુદ કરી.. તેમ છતાં આ વળી કેવું ..?? જનારા તો બિચારા જતા રહે છે પણ તેની વિધવા તરીકે એક સ્ત્રી અશુભ .. અને એ જ સ્ત્રી બીજાની પત્ની બને તો શુભ..? સ્ત્રી તો એ જ છે… તેની અંદર રહેલો આત્મા તો એ જ છે .. તો આવા નિ:ર્દોષ આત્માનો શું દોષ ..? પરંતુ આનો જવાબ ક્યાંથી મળે..?..રિવાજ-કુરિવાજ…શુભ-અશુભનાં ચક્કરમાં સ્ત્રી બિચારી યુગોથી સપડાયેલી છે…!!!

*

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

મારી ભીતર…

By , December 22, 2009 8:32 pm

collage30


“મારી ભીતર” શબ્દ અનેક રચનાઓમાં વણાયેલો છે.. પરંતુ… આ તો જરા,

અમથું-અમસ્તું કંઈક સ્ફૂર્યું મારી ભીતર, ને કાવ્યપંક્તિ જેવું કંઈક રચાયું મારી ભીતર
:)


લાગણી ઝણઝણે મારી ભીતર,

સંગીત રણઝણે મારી ભીતર,

સપના ઝળહળે મારી ભીતર,

સાગર ખળભળે મારી ભીતર,

આશા ટળવળે મારી ભીતર,

કાશ ..! આવું કંઈક તો સળવળે તારી ભીતર ..!!

*

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

મમતા…

By , July 27, 2009 12:10 am

motherlove

.. *.. મમતા ..*..

સુર્યનાં સોનેરી કિરણો ચહેરા પર પડતાં જ તૃપ્તિની આંખો ખુલી ગઇ અને અચાનક જ ખ્યાલ આવ્યો કે આજે તો અગિયારસ …! જલ્દી ઉભી થઇ નિત્ય ક્રમ આટોપી, ઠાકોરજી ની સેવા કરી, ઉંઘી રહેલાં તપનને ઢંઢોળી, બધી સૂચના આપી જલ્દી હવેલી તરફ રવાના થઇ…. આજે અગિયારસ ને લીધે મંગળા આરતીનાં દર્શન માટે ખાસ્સી એવી ભીડ હતી …તો પણ સદભાગ્યે શ્રીજીની સન્મુખ ઝાંખી થઇ શકી .. ત્યાર બાદ શ્રીજી ગોલખમાં ભેટ ધરી, ગૌશાળામાં ગાય ને નીરણ ધરી,પ્રદક્ષિણા કરી રહી હતી ત્યાં જ સુધાબહેને એને જોઇ ..

“અરે તૃપ્તિ… જય શ્રીકૃષ્ણ …!!…”

“ઓહ, જય શ્રીકૃષ્ણ, આંટી…!!… ”

”આજે તો તું મંગળા દર્શનમાં આવી..!! ..”

“હા આજે અગિયારસ અને પાછો રવિવાર છે એટલે તપન ઘરે છે તો શુભની પણ ચિંતા નથી …

“હાં બરોબર .. અરે હાં દીદી આવી છે, તને યાદ કરતી હતી .. સાંજે તને મળવા આવશે..!”

“અરે વાહ ..! આંટી, તમે બધા પણ આવજો ને ..” કહેતી તૃપ્તિ ઝડપથી ઘર તરફ રવાના થઇ…

સુધાબહેન ઘરે આવ્યાં ત્યારે રાગીણી પણ જાગી ગઇ હતી .. તે મુંબઇથી ઘણા સમયે અમદાવાદ આવી એટલે નાની બહેન શ્વેતાનાં અને સંબંધીઓનાં ખબર અંતર પુછતી હતી, ત્યાં સુધાબહેન બોલ્યાં કે આજે તો શ્વેતાની સહેલી તૃપ્તિ મળી ગઇ હવેલીમાં…અને રાગીણી ચમકી.. કે તૃપ્તિ આવી હતી..??.. અને તેની નજર સમક્ષ તૃપ્તિનાં લગ્ન થયાં ત્યારથી અત્યાર સુધીના બધા દિવસો જાણે કે ચિત્રપટની જેમ છવાઇ ગયાં.

અને દસ વર્ષ પહેલાનો તૃપ્તિનો લગ્નનો દિવસ યાદ આવી ગયો…રૂડા માંડવડા રોપાયા હતાં… મંગળ ફેરા ફરાતા હતાં ને સાજન માજન સંગે લગ્ન ગીતો ગાતાં હતાં…ત્યાં તો વિદાયની વસમી વેળા પણ આવી ગઇ..માતા-પિતા, ભાઇ, બહેન, સખીઓનો સંગાથ છોડી આંખોમાં સ્વપ્નાઓ લઇ પારકાઓને પોતાના બનાવવા સાસરે ચાલી…એક કોડ ભરી યુવતી જ્યારે મા-બાપની છત્રછાયામાં થી વિખુટી પડીને તદન નવા વાતાવરણમાં જઇ ને શ્વસુરપક્ષનાં દરેક સભ્યોને પોતાના બનાવવાની સારી ભાવાના રાખીને પહેલું પગલુ ભરે છે, ત્યારે એને ખબર નથી હોતી કે તેનું ભાવિ કેવું હશે..? …

શરૂઆતમાં તો બધુ ઠીકઠાક ચાલ્યું..પણ ઘરમાં માતા(સાસુ)નું એક્ચક્રી શાસન હતું…. અને કમનસીબે તપન પણ માતાની વાતોમાં આવી જતો.. ધીરે ધીરે ગૃહક્લેશને કારણે તૃપ્તિને ઘણું સહન કરવું પડ્યું… સમય વિતતા તૃપ્તિનાં માતૃત્વનાં ખુશીભર્યાં સમાચાર પણ તેની કમનસીબીનાં ચક્રને ફેરવી ના શક્યાં..!!…સમયનાં વહેણ વહેવા લાગ્યાં…સાથે સાથે તૃપ્તિ પર માનસિક અને શારીરિક ત્રાસ પણ વધતો ચાલ્યો.. આવી હાલતમાં જ વિકલાંગ પુત્ર નો જન્મ થયો…! …પરંતુ ખૂબ જ સારવાર કરવા છતાં બાળકનો માનસિક અને શારીરિક વિકાસ ના થયો…આમ જ દહાડાઓ વિતવા લાગ્યાં .. તૃપ્તિ અને તપને ખૂબ જ મહેનત કરી પણ બધાજ ડોક્ટરોએ દવાની બદલે દુવા કરવાનું કહ્યું ત્યારે બન્ને પર જાણે કે પહાડ તુટી પડ્યો…! …

આ બધી જ વાત રાગીણી જાણતી હતી એટલે જ મમ્મીએ જ્યારે કહ્યું કે તૃપ્તિ હવેલીમાં મળી હતી, ત્યારે એને આશ્ચર્ય થયું હતું કે તૃપ્તિ…! અને સવારના પહોરમાં હવેલીમાં..???…. કેમકે તે શુભને ક્યારેય અળગો ના કરતી.

સાંજ પડી અને શ્વેતા પણ આવી પહોંચી ..બન્ને બહેનો તૃપ્તિનાં ઘરે ગઇ ..તૃપ્તિ તો બન્નેને જોઇ ને એક્દમ આનંદમાં આવી ગઇ… આમ પણ રાગીણી એના માટે સખી શ્વેતાની દીદી નહીં પણ, પોતાની મોટીબહેન સમાન હતી. ત્રણે એ નાનપણની બધી વાતો યાદ કરી …સ્કુલ લાઇફમાં કેવા તોફાન મસ્તી કર્યાં હતાં એ બધીજ બાળપણની વાતો કરતાં કરતાં વર્તમાનમાં આવી પહોંચ્યાં અને શુભને જોઇ ને રાગીણીથી રડી પડાયું…તૃપ્તિ બોલી, કેમ શું થયું દીદી..??…પણ રાગીણી બોલી શકી નહીં અને શુભ તરફ જોયું…

એટલે શ્વેતા સમજી ગઇ અને કહ્યું કે, રડો નહીં દીદી … તૃપ્તિ તો હવે ખૂબ જ હિંમતવાન થઇ ગઇ છે…અને તપનનાં સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું છે …. ખરુને તૃપ્તિ..?… ”

“હાં દીદી…એક વખત હું શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગયેલી અને મહારાજશ્રીનાં વચનામૃતનું શ્રવણ કરતાં જ, અંતરમાં રહેલાં ધાર્મિક સંસ્કારો ઝંકૃત થઇ ઉઠયાં અને સંજોગો સાથે સમાધાન કરતાં શીખી. અને હા દીદી, તમારાં બધા જ કરતાં હું નસીબદાર છું કારણકે, તમારાં બાળકો ને તો તમે ફક્ત અમુક સમય સુધીજ ગોદમાં લઇને રમાડી શકો છો, જ્યારે હું તો શુભ ને આઠ વર્ષથી મારી ગોદમાં રાખીને વાત્સલ્ય વરસાવુ છું….. જાણે કે શ્રી ઠાકોરજી, શુભ રૂપે અમારે આંગણે અવતર્યાં અને જેની અમે પ્રત્યક્ષ સેવા કરીએ છીએ…હવે તો શુભ જ અમારો લાલો છે અને એની સેવા એ જ શ્રીઠાકોરજીની સેવા છે..!…મમતા ભરી દ્રષ્ટિએ શુભ તરફ જોતા તૃપ્તિએ કહ્યું…

તૃપ્તિની વાતો એ રાગીણીને વિચારતી કરી મુકી….મનોમન એ, માતૃત્વનું ઝરણુ વહાવતી મમતાની મુર્તિ ને વંદી રહી..!!..સાથે સાથે જ આપણી ભારતીય સંસ્કૃતિનાં રીત – રિવાજોનાં આવા નરસા પાસાને કોસતી રહી કે, આવી કેટ – કેટલી તૃપ્તિઓ આવા દુર્વ્યવહારનો ભોગ બનતી હશે..!!..જ્યાં નારીને નારાયણી મનાય છે, ત્યાં નારીનું આ રીતે પણ શોષણ થાય છે….!.. જ્યારે આ કારણે જ શુભની હાલત આવી છે …પરંતુ આમાં શુભનો શું વાંક…??

..માનવ હક્કનું મુલ્ય અને “વહુ” નામનાં સભ્યની વેદના – સંવેદનાને ક્યારે સમજશે આ ભારતીય સમાજ ..?

શું વહુ બનીને આવેલી નારીને, પોતાનું જીવન, બસ શ્વસુરપક્ષને સમર્પિત કરી દેવા માટે જ મળ્યું છે ?? ફરજ નિભાવવાના ઓઠા હેઠળ કેટલીયે “વહુ” રિબાતી હશે…! પછી તેની સાથે પરીણામ ભોગવવા પડે છે શુભ જેવા નિ:ર્દોષ બાળકોએ, કે જેઓનું કોઇ નિશ્ચિત ભવિષ્ય નથી…!

કાશ ! હવે તો , સભ્યતાનો આંચળો પહેરેલ ભારતીય સમાજ નાં એ દરેક શ્વસુરપક્ષની આંખો ખુલે, જેઓ હજીયે વહુ ને આવી રીતે ત્રાસ આપે છે, તેને ફક્ત ‘વહુ’ તરીકે જ જુવે છે .. ઘરના સભ્ય તરીકે નહિ …!

કહેવાતા આધુનિક અને સુધરેલા, આ સમાજ માં અત્યારે પણ આવું બની રહ્યું છે એ ખૂબ શરમજનક છે આપણી સંસ્કૃતિ માટે ..!!

- સહલેખન –

ચેતના (ઘીયા) શાહ.

શિતલ (ઘીયા) માલવિયા.

*

આ લઘુકથા લખતી વખતે અમારી આંખો તો ભીંજાઈ ગઈ ને હૈયું દ્રવી ઉઠયું ..! આપનું હૃદય શું કહે છે ..?

*

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

ગુરુવંદના…

By , July 7, 2009 12:03 am

shri-bhutsir4

ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :

ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ: ॥

શ્રી ધીરજલાલ પોપટભાઈ ભૂત
જન્મ તારીખ :- ૯-૯-૧૯૪૮
વતન :- કોટડા-સાંગાણી, જી. રાજકોટ (ગુજરાત)
શૈક્ષણિક લાયકાત :- એમ. એ. બી.એડ.
કાયમી સરનામું :- પ્રો. ડી.પી.ભૂત
આંબલી શેરી, કોટડા-સાંગાણી ( પીન-૩૬૦૦૩૦ )
મોબાઈલ :- ૯૪૨૬૪૮૧૯૩૩


શૈક્ષણિક અનુભવ :- (૧) મુળવાજી હાઈસ્કુલ – શિક્ષક ૨ વર્ષ (૨)  સુલતાનપુર હાઈસ્કુલ – શિક્ષક ૩ વર્ષ (૩) મહારાજા ભગવતસિંહજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલ – પ્રોફેસર – ૩૬ વર્ષ (૪) શેઠ ટી.જે. કન્યાવિદ્યાલય અને કોલેજ – ઉપલેટા – ૨ વર્ષ (૫)  જુનાગઢ કોલેજ – પાર્ટ ટાઈમ ૧ વર્ષ (૬) જેતપુર કોલેજ – પાર્ટ ટાઈમ ૨ વર્ષ (૭) ધોરાજી કોલેજ – પાર્ટ ટાઈમ ૨ વર્ષ (૮) અમરેલી કોલેજ – પાર્ટ ટાઈમ ૧ વર્ષ  (૯) રાજકોટ  પી.જી. ટીચર્સ – ૧ વર્ષ

ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો  ગાઢ બનાવતું  પાવન પર્વ .આ પર્વ નિમિતે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરીને આર્શીવાદ મેળવતા હોય છે. આજે હું પણ ગુરુવંદના કરી, મારા ગુરુજીનાં આશીર્વાદ મેળવું છું… લગ્ન સમયે એમણે મને આપેલી આશીર્વાદ રૂપ શ્રીભાગવત ગીતાજી આજે પણ મારા ઘર મંદિરમાં બિરાજમાન છે અને ઈશ્વર સહ ગીતાજી પૂજન  થાય છે..!

ઈશ્વર અને માતા પિતા ની જેમ જ  ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે …ગુરુ એ દિવ્ય જ્યોતિ છે, જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે.. ગુરુદક્ષિણા – કે એમનું ઋણ તો કેવી રીતે ચૂકવી શકાય, પરંતુ આજે આપ સમક્ષ એમની જીવન ઝાંખી દર્શાવીને એક ગૌરવની અનુભૂતિ મહેસુસ કરવી છે કે, હું મારા આ ગુરુજીની વિદ્યાર્થીની છું..જેમણે હંમેશ પોતાના શિષ્યોને જીવનની સાચી રાહ બતાવી છે… એમણે બતાવેલ જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ, પુસ્તકમાં થી નહિ પરતું એમના જીવન દ્વારા શીખી શકાય છે…એમનું વ્યક્તિત્વ જ નિરાળું છે… સ્કુલ – કોલેજમાં એમના સદવિચારો અને સંસ્કારની મહેંક થી એમની આગવી ઓળખ છે ..

પહેલાની પોસ્ટ ” મુલાકાતો ની શ્રૃંખલા- એક યાદગાર સફર ” માં  આપે વાંચ્યું જ હશે કે,  હું કેટલા વર્ષો બાદ પૂજ્ય સર ને મળી.. કારણકે કોઈ યુવતી જયારે પરણી ને પરદેશ જતી રહે છે ત્યારે જુના સંપર્કો જલ્દીથી સાધી શકતા નથી… લગ્ન બાદ એક જ વાર પૂજ્ય સરને મળવાનું થયેલું.. પછી તો સંપર્ક જ નહિ.. તેઓ મને યાદ કરે અને હું તેમને .. પણ મળી જ ના શકાયું … અને  બલિહારી કેવી કે સ્કુલમાં તપાસ કરી કોઈ પાસે થી સમાચાર જ  નાં મળ્યા … બસ એટલી  ખબર પડી કે તેઓ કોટડા સાંગાણી જતા રહ્યા છે .. કોઈ ને કોઈ શહેર કે  ગામ ની કોઈ પણ વ્યક્તિ મળે, પણ આટલા વરસોમાં મને કોટડાસાંગાણી ગામની એક પણ વ્યક્તિ નાં મળી… બસ એ ગામ નું નામ જ માત્ર રહી ગયું મારા માટે … આમ ને આમ દિવસો ગયા… વરસો  ગયા અને અચાનક એક દિવસે ” કોમ્પ્યુટર દેવ અને નેટ જગત ની કૃપા ” થી  મને બ્લોગ પર વાંચક  મિત્ર દુષ્યંતભાઈ  મળ્યા…  અને જેવી મને ખબર પડી કે તેઓ લંડન અભ્યાસ કરે છે અને  કોટડા સાંગાણીનાં વાતની છે કે હું ચમકી… અને બીજું કશું બોલવાને બદલે સીધું જ પૂછી લીધું કે તમે શ્રીભૂતસર ને ઓળખો છો..?  ત્યાં તો  તેમણે કહ્યું કે, હા તેઓ તો  મારા મોટા પપ્પા છે …… અને મારી આંખો તો વરસી પડી…  જેમને મળવા માટે હું આટલા વરસ થી રાહ જોતી હતી અને આજે અચાનક જ …!!! તેઓએ  કહ્યું કે આપની જોડેની વાતોમાં અને આપના બ્લોગ પર, મને મારા મોટાપપ્પા ના સંસ્કાર અને શિક્ષણ ની ઝલક દેખાઈ રહી હતી…અને સાચું જ પડ્યું ને કે, મારા મોટા પપ્પા આપના ગુરુજી છે  ..!  તરત એમની પાસે થી નંબર લઇ, બીજે દિવસે ઇન્ડીયા ફોન કરી સર ને મળી.. તેઓ પણ ખુબ જ અચરજથી  મને સાંભળી રહ્યાં ને ભાભીએ ( સરનાં મિસિસ )  મને કહ્યું કે બહેન, તમારા સરની આંખોમાં થી તો હર્ષના આંસુ વહે છે …!!! .. એ પછી તો હું ઇન્ડીયા ગઈ ત્યારે ખાસ સરને ત્યાં ગયેલી  અને ગુરુ શિષ્યાની એ મુલાકાત  સહુની આંખો ભીંજવી  ગઈ ..!  બાદમાં જેવો મેં,  એમણે મને લગ્ન સમયે લખેલ આશીર્વાદ રૂપ પત્ર બતાવ્યો કે તેઓએ  ( અંતે તો મારા ગુરુજી ને? ) પણ મારી જૂની  નોટબૂક બતાવી કે, સ્કુલમાં મારા વર્ગ દરમ્યાન, તું મેઈન પોઈન્ટસ  લખતી ને? તારી એ જ નોટ પર થી, હું બધાને ભણાવું છું ..!! ( હાલ, થોડા સમય પહેલા જ નિવૃત્તિ લીધી )    ભાભીએ પણ કહ્યું કે, જ્યારે એમની વિદ્યાર્થીની યાદ આવે કે તેઓ આ નોટબૂક લઈને બેસી જાય એટલે હું સમજી જતી કે તમારી યાદ આવી છે.. ! 

અમારા  મિત્રમંડળ માં સર  પ્રત્યેનો પૂજ્ય ભાવ અનન્ય અને અનોખો જ છે… !  ત્યાર બાદ તો મારી સહેલીઓને પણ  સર સાથે વાત કરવાની  તક મળી .. કેમકે એક   દુબઈ છે, એક મલેશિયા છે,  એક અમેરિકા છે, એક મોરબી, એક મુંબઈ  તો.. એક  વડોદરા  છે . પરંતુ   અમને આટલા વરસે પૂજ્ય સરને મળવાનો લાભ મળ્યો એ જ ખુશી ની વાત છે…અમને ગૌરવ છે કે, આપશ્રી જેવા ગુરુજી મળ્યા ..!

ખરેખર, આ અનોખુંબંધન શબ્દોમાં વર્ણવી શકાતું નથી …!!

 ( મારી જેમ મારા બન્ને પુત્રો તેજસ-ચિરાગ પણ યોગ્ય ગુરુજી મેળવવા બદલ નસીબદાર છે.. મિસ્ટર ફૈઝલ – જેઓ ફીઝીક્સ અને એડીશ્નલમેથ્સ નાં ટીચર છે.. એમના વિષે ફરી ક્યારેક )

અત્રે પ્રસ્તુત છે પૂજ્ય સરની જીવન ઝાંખી એમના જ શબ્દોમાં …

*

Faith in God, do right & God bless you.

ચિ.બહેન ચેતના,
આપના જીવનમાં ઉપયોગી થાય એવું થોડું પણ ગ્રહણ કરીને હજુ પણ યાદ કરો છો…અને જુના સ્મરણો યાદ કરી આજે હું પણ કૃતાર્થ ભાવ અનુભવું છું. આપના માટે મેં જે ભાવ કલ્પ્યો છે એ વધુમાં વધુ સૌથી ઉચ્ચતમ છે.. પ્રફુલભાઈ-ભરતભાઈ જેટલો જ.

જીવન એક સરિતા છે, તેના પ્રવાહને જુદાજુદા સ્વરૂપો, જુદીજુદી અવસ્થાઓ અને મર્યાદાઓ હોઈ શકે પરંતુ, ગતિશીલતા એ તેનો ધર્મ છે.. જીવનના કોઈ તબ્બકે સ્વજનોથી હજારો માઈલ દૂર જવું પડે, છતાં એ નજીક જ લાગે છે…આપણે પણ સંપર્કમા નહોતા, છતા નજીક હતા. જુઓ, ઋણાનુંબંધી પ્રેમને કોઈ અંતર નથી જ .. એટલે જ એ અલૌકિક કહેવાય છે ને? ઈશ્વર આપને અને આપના કુટુંબને ઉજ્જવળ, કીર્તિમાન અને દીર્ઘાયુષી બનાવે તેવી પ્રભુ પ્રાર્થના..

તમારા વર્ષો જુના શિષ્યત્વનાં સંબંધ અને ભાવને નાતે કહીશ કે, અત્યારે જે કાર્ય કરો છો એ જ મારી ગુરુદક્ષિણા. તમે લખતા રહો અને સંગીતસાધના, ભક્તિ અને સાહિત્યમાં આગળ વધો એવી શુભેચ્છાઓ… તમારા ભાવને ધ્યાન માં રાખી ને હું મારા કુટુંબ વિષે માહિતી મોકલું છું.


અમે ચાર ભાઈઓ – ૧ (હું) – મારા બે પુત્રો, હિમાંશુ – ડી.પ્લાસ્ટિક, મનીષ – બી.કોમ. કોમ્પ્યુટર (૨) રતિલાલ – બી.એસ.સી, બી.એડ. સાયન્સ ટીચર, તેના બે પુત્રો દુષ્યંત- લંડન, મિહિર -૧૨ સાયન્સ (૩) ભરત – બી.ઈ.સિવિલ -પુત્ર ગૌતમ – ફૂડ એન્જીનીયરીંગ- વિદ્યાનગર, પુત્રી ૧૨ સાયન્સ (૪) સનત – બી.એસ.સી., બી.એડ. – પુત્ર કશ્યપ ૧૨ સાયન્સ ,પુત્રી ધો. ૮ .

બહેનોમાં વિજયાબહેન – એમ.એ.,બી.એડ.-કમળાપુર હાઈસ્કુલ જસદણ., ભાનુબહેન -બી.એસ.સી, બી.એડ.-શેઠ હાઈસ્કુલ .રાજકોટ, ગીતાબહેન -એમ.એ.રાજકોટ, શોભનાબહેન બી.એસ.સી. અમદાવાદ.

આમ તો અમારું કુટુંબ શિક્ષક કુટુંબ તરીકે જાણીતું છે. મારા દાદા રાજાશાહી વખતે  શિક્ષક હતા, મારા પિતાજી પણ શિક્ષક હતા અને હાલમાં અમે ૮ ભાંડરૂ ( ૪ ભાઈઓ-૪ બહેનો )માંથી બે ભાઈઓ  અને બે બહેનો શિક્ષક જ છીએ. મારા પિતાજીનું જીવન આધ્યાત્મિક હતું .અમારું બાળપણ હતું ત્યારે અને પોતાની હયાતીમાં અમારી કોઈ પણ ભૂલ કે નબળી બાબતને મમતા કે વાત્સલ્યને કારણે ક્યારેય ચલાવી લીધી હોય એવું યાદ નથી. તેઓ  સિદ્ધાન્તવાદી અને સત્યના આગ્રહી હતા..શિક્ષકની સર્વિસ પછીનો મળતો સમય ચિંતન -મનન અને સારા પુસ્તકોનાં વાંચન માં જ તેઓ પસાર કરતા. અમારા ગામમાં એક સાચા માણસ તરીકેની એમની છાપ હતી જ. જુના શિક્ષકોનો પગાર બહુ ટૂંકો  હતો એમ છતાં તેઓ સાદગીભર્યું જીવન જીવી અમોને તેમને ભણાવ્યા,અમે આઠે ભાંડરૂ ડબલ ગ્રેજ્યુએટ છીએ અને સંસ્થા કે સરકારી લોન મેળવીને અમને ભણાવ્યા છે. બીજી કોઈ જ આવક ના હોવા છતાં સિદ્ધાંત ને ખાતર શિક્ષક તરીકે રાજીનામું આપી દીધું પછી થોડો સમય પ્રાઈવેટ માં ગૃહપતિ તરીકે કામ કરી ત્યારબાદ નિવૃત થઇ ગામની બહાર જે હનુમાનજીનું મંદિર- જે અપૂજ હતું, ત્યાં કલાકો સુધી ચિંતન-મનન ગીતાસ્વધ્યાય અને શાસ્ત્ર વાંચન કરી સમય પસાર કરતા અને તે મંદિર માં હનુમાનજી ની પૂજા આરતી કરતા..

હવે કુટુંબ નિર્વાહ ની મુશ્કેલી થઇ.હું ત્યારે કોલેજ ના પ્રથમ વર્ષ માં હતો ત્યારે અન્ડરગ્રેજ્યુએટને શિક્ષક ની જોબ મળતી અને મેં સ્વીકારી લીધી બાદ સર્વિસ કરતા કરતા કોલેજ -પ્રોફેસરની જોબ સુધી પહોંચી ગયો- અન્ય ભાઈબહેનો ને ભણાવ્યા.

પિતાજીનું “ભાગવદગીતા” પર વિશેષ ચિંતન-મનન અને અભ્યાસ હતો, ખાસ કરીને ‘અરવિંદ ફિલોસોફી’ તરફ તેમનું વધારે રીડીંગ હતું. સમય જતા ઘર કરતા મંદિરે વધારે સમય આપતા અને અવાર અનવાર અમને બધા ને કહેતા – ” મારા મૃત્યુ બાદ મને અગ્નિસંસ્કાર આપશો નહિ પરંતુ ગાડું શણગારી,તેમાં બેસાડી ખોળામાં ‘ગીતા’ આપશો અને ગીતાના શ્લોકો બોલતા બોલતા હનુમાનજી મંદિરે, મૂર્તિની સામેના ભાગમાં મને સમાધિ આપજો.” પિતાજીનું આ વચન અમે પાળ્યું છે , અમે જાતિએ પટેલ છીએ છતાં પિતાજીની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરી છે. તેઓએ સરકાર પાસે થી ત્યાં ગીતા આશ્રમ બનાવવા માટે ચાર એકર જમીન મેળવી હતી.

આજે આ જગ્યામાં હનુમાનજીનું મંદિર છે, પિતાજીની સમાધિ છે. તેઓ ત્યાં દર વર્ષે , ગીતાજયંતી -માગસર સુદ ૧૧ ના ઉપવાસ કરી ‘ગીતાયજ્ઞ’ કરતા, અમને ત્યાં બેસાડતા અને કહેતા – તમને આજે નહિ સમજાય પણ મોટા થશો ત્યારે આની આસ પાસ રહેશો, જીવનમાં પ્રેરણા અને પ્રકાશ મળશે” તેઓનો જન્મ ગુરુપૂર્ણિમા ને દિવસે અને તેમની તિથી ગીતાજયંતી ને જ દિવસે જ આવે છે. ત્યારે એમના સ્મરણાર્થે, કુટુંબીઓ ભેગા થઈને ગીતાયજ્ઞ અને ગીતા સ્વાધ્યાય ભજન કરીએ છીએ. આ અમારી તીર્થભૂમિ બની છે.અને હનુમાનજીના જુના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું શરુ કર્યું છે. હજુમાન જયંતિ વખતે બટુકભોજન કરાવીએ છીએ. અમારી આ તીર્થભૂમિ ને લોકો ‘ગીતાઆશ્રમ’ તરીકે ઓળખે છે.

હાલમાં મારા નાના બે ભાઈઓ અને મારા બંને પુત્રો સુરત છે, ત્યાં પાવર લુમ્સ, ફાસ્ટફૂડ -કોલ્ડ ડ્રીન્કસ ની દુકાન અને સ્ટીલના કુકરનો એ વેપાર કરે છે, મારા માતુશ્રી તેઓની સાથે સુરત રહે છે. હાલ તબિયતને હિસાબે મેં સર્વિસ માં રાજીનામું આપી દીધેલ છે. હવે કોટડા-સુરત બંને જગ્યાએ થોડો થોડો સમય રહીશ અને શેષ જીવન સારી રીતે પસાર કરવા પ્રભુને પ્રાર્થના કરતો રહીશ ..સહુને પ્રભુના આશીર્વાદ મળે એવી શુભકામના..

 - ધીરજલાલ ભૂતના સ્નેહ સ્મરણ અને હરી ૐ તત્ સત્ .

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

પ્રણય…

By , December 5, 2008 1:00 am

અનોખુંબંધન માટે સહુ પ્રથમ લખેલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી
સબ-રસ વાર્તા હરિફાઇ માં પ્રથમ પારિતોષિક વિજેતા કૃતિ..

13

હરિફાઇ આયોજક શ્રી અશોકભાઇ તથા સર્વે નિર્ણાયકો નો ખૂબ ખૂબ આભાર…!

ગુલાબી સંધ્યાનો પાલવ ઓઢી ને પવનની એક લહેરખી આવી ને વહેતાં ઝરણાંનાં નીરની સાથે ભળી અને એની શિતળ બુંદોની છાલક, ત્યાં ખડક પર બેઠેલાં તીર્થ ને સહેજ ભીંજવી ગઇ… એ સાથે જ તીર્થની નજર સમક્ષ આવી જ એક ગુલાબી સંધ્યા આવી ગઈ … ત્યારે પણ તે અને વૃષ્ટિ આ જ ઝરણાં પાસે બેઠાં હતાં… આવીજ રીતે ગુલાબી સાંજ ઢળી રહી હતી અને બન્ને એ જીવનભર એકબીજાનો સાથ નીભાવવાના કૉલ આપ્યાં હતાં… કેવી હતી એ સ્વપ્નો તણી દુનિયા..??..

જાણે જન્મો જન્મથી એકબીજાની તલાશ કરતા હતાં ને આ જન્મે મળી ગયા ..!!.. પ્રણયની અનુભૂતિ કરીને બન્ને જાણે કે ધન્ય બની ગયા હતાં..વૃષ્ટિની તો સૃષ્ટિ જ બદલાઇ ગઈ…! એક્દમ સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતી વૃષ્ટિ, તીર્થને પોતાનો ભગવાન માનતી હતી ….!…તીર્થ પ્રત્યેનાં પોતાના પ્રણયને એ પૂજા માનતી હતી…! તીર્થને જરાપણ કંઈ થાય તો પળવારમાં ચિંતિત થઈ જતી…!!..એની અસર પોતાની તબિયત પર પણ થતી…સામે તીર્થ પણ વૃષ્ટિ માટે બધુંજ કરી છૂટતો…વૃષ્ટિ બોલે એટલી જ વાર હોય..! આમ જ બન્ને એકબીજા પર પ્રેમની વૃષ્ટિ વરસાવતા.!

……થોડાં દિવસો તો બન્ને સ્વર્ગમાં વિહર્યા …. !…………….પરંતુ………..નસીબ ની બલિહારી કે … સંજોગોની એક જ થપાટે બન્ને દૂર થઈ ગયાં…અચાનક જ તીર્થે વૃષ્ટિને મળવાનું બંધ કરી દીધું… વૃષ્ટિએ એને મળવાના દરેક મરણીયા પ્રયાસો કરી જોયાં પણ બધુંજ વ્યર્થ…!! તીર્થે વૃષ્ટિની સતત અવગણના કરી…! ..

 આમ જ એક દિવસ તીર્થ ભારત છોડી ઑસ્ટ્રેલિયા જતો રહ્યો… અને આ તરફ વૃષ્ટિ પર તો જાણે કે પહાડ તૂટી પડ્યો… આસમાનમાંથી એકાએક જમીન પર પછડાઈ ગઈ હોય એવી અનુભૂતિ થઈ…રડી રડીને દિવસો વિતાવ્યાં … તબિયત પણ બગડી …! હોસ્પિટલમાં દાખલ કરવી પડી… ત્યાં ડૉકટર પૂજનની સારવાર હેઠળ તબિયત જરા સુધરી… સમય જતાં ડૉ. પૂજન અને વૃષ્ટિ સારા મિત્રો બની ગયાં… પણ વૃષ્ટિએ તીર્થનું નામ હૈયામાં જ દબાવી રાખ્યું…એક દિવસ પૂજને વૃષ્ટિ અને તેના પરિવાર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો… પરિવારમાં તો બધાએ સહર્ષ સ્વીકારી લીધો..પણ વૃષ્ટિ વિમાસણમાં પડી ગઈ..!.. એક તરફ માતા પિતા અને પૂજન જેવો મિત્ર હતો તો બીજી તરફ પોતાનો પ્રણય અને તેમાં મળેલું દર્દ ..!!… પણ પોતાના દર્દને લીધે ક્યાં સુધી એ બીજા બધાને પણ દુ:ખ આપશે…??… અંતે તેણે બધાની વાતને માન આપ્યું અને પૂજન ને પરણી એ સાસરે આવી..

                  સમય ને વિતતા ક્યાં  સમય  લાગે છે..??.. વરસ આમ જ પસાર થઈ ગયું …વૃષ્ટિએ સાસરે આવીને ઘર અને પરિવાર તરફની જવાબદારી પૂર્ણપણે નિભાવી …પણ હૈયાનાં એક ખૂણે તીર્થની યાદ ધરબાયેલી પડી હતી…રહી રહી ને એક જ સવાલ ઉઠતો હતો કે આખરે તીર્થે મારી સાથે આવુ કેમ કર્યું ?? એવી તે એની શું મજબૂરી હશે..?? શું અમારી લેણ-દેણ પૂરી થઇ ગઇ હશે..?? એના તરફનાં મારા પ્રેમ અને ભક્તિમાં ક્યાં કચાશ રહી ગઇ ?? ..ક્યારેક ભગવાનની પ્રતિમા સામે જઇને આંસુ સારી લેતી…અને આ બધી જ વાત તીર્થ જાણતો હતો કે વૃષ્ટિને ખૂબ દુ:ખ થશે, પણ વૃષ્ટિનાં જીવનમાંથી દૂર ચાલ્યા જવા માટે જ તો એ ઑસ્ટ્રેલિયા જતો રહ્યો હતો..!!.. આજે વરસ પછી એ આ મિલન સ્થળે આવ્યો હતો..!!.. અને એ દરેક પળો ને યાદ કરી રહ્યો હતો, જે એણે પોતાના પ્રેમ સાથે-વૃષ્ટિ સાથે વિતાવેલી હતી…! તીર્થનાં નયનોમાંથી આંસુઓની બુંદો ટપકી ને આ ઝરણામાં પડી ને એના વહેણ સાથે વહી ગઈ..! અને ભારે હૈયે એ ઘર તરફ વળ્યો …

                          પણ ઘરે જતાં જ એ ચોંકી ગયો..સામે વૃષ્ટિ બેઠી હતી…!!! તીર્થ ત્યાં જ થંભી ગયો …વૃષ્ટિએ અશ્રુભરી આંખોથી એની સામે જોયુ ને એ નજર ને પોતે જીરવીના શક્યો અને ત્યાંથી ચાલ્યા જવા જેવુ પગલું ભર્યું કે વૃષ્ટિ બોલી…,

   ” તીર્થ …!! …આખરે મારી ભૂલ શું હતી..?.. એ જ ને કે મેં તને મારો આત્મા માન્યો.? મારો ભગવાન માન્યો..? તને ચાહવાની મને આ સજા મળશે એ મને નહોતી ખબર…! અરે એકવાર તો તે મને સાચી વાત કહી હોત..! એક વાર તો મને મારો પ્રેમ સાબિત કરવાની તક આપી હોત…!   હું જેવી આટલો સમય તારા વિના દર્દ સહી ને રહી છું એવી રીતે નહીં, પણ ખુમારીથી તારા વિના પણ તારી સ્નેહભરી યાદનાં સહારે જીવન વિતાવી લેત ..! પણ એક નારીનાં હૈયાને, એમાં રહેલી લાગણીને તું શું સમજે..?..તું મને સમજી શક્યો નહીં પણ મારાં પતિ મારાં દર્દને સમજતાં હતાં ..તેઓ જ મને અહીં લાવ્યાં છે…” અને તીર્થે પાછળ ફરી ને જોયું તો પૂજન પણ ત્યાં જ હતો …તીર્થ કશુંજ બોલી શક્યો નહીં… એની નજર સમક્ષ એ દિવસ આવી ગયો … જ્યારે તેણે પૂજન પાસેથી-પોતાના અંગત મિત્ર પાસેથી આ વચન લીધું હતું… કે તે વૃષ્ટિનો જીવનસાથી બને અને વૃષ્ટિ એક લાગણીશીલ, સુશીલ અને સમજુ યુવતી છે…નામ એવા જ ગુણ છે ..તે પૂજનનું જીવન સુખની વૃષ્ટિ કરીને ભરી દેશે ..!!..

અને તેણે પૂજનને વચનથી બાંધી લીધો કે પોતાની આ બિમારી વિષે વૃષ્ટિને એ ક્યારેય ના જણાવે… પૂજને અત્યાર સુધી વૃષ્ટિ પાસે તીર્થનાં નામ નો ઉલ્લેખ પણ નહોતો કર્યો અને વૃષ્ટિએ પણ પોતાનું દર્દ હૈયામાં છૂપાવી રાખ્યું હતું..એ જ વિચારીને કે તીર્થે મને આપેલાં દર્દની વાત પૂજનને કહીને પોતે એને શા માટે દુ:ખી કરવો જોઈએ..? આમાં પૂજનનો શો વાંક ?.. નાહક અમારા સંબંધમાં મુશ્કેલી આવી જાશે..અને એ ચુપ રહી…! પણ પૂજન ઘણી વખત વૃષ્ટિનાં દર્દને મહેસુસ કરી શક્તો હતો…ભલે આટલાં સમયમાં વૃષ્ટિએ પત્ની તરીકેની દરેક ફરજ પ્રમાણીકતાથી નિભાવી તો પણ એ સમજી ગયો હતો કે વૃષ્ટિનાં હૈયામાં હજુય તીર્થ છે …!

પરંતુ તીર્થ ને આપેલાં વચનને લીધે એ પણ ચુપ રહ્યો…! એને તો બમણું દુ:ખ થાતું હતું.. એક તરફ તીર્થની જીવલેણ બિમારી તો બીજી તરફ વૃષ્ટિની વ્યથા..!!..

પણ એક દિવસ બન્યું એવુ કે પૂજનની બહેન ગ્રિષ્મા કોલેજથી આવીને વૃષ્ટિને વળગીને રડી પડી કે, ભાભી, શિશીર મને છોડીને અમેરિકા ચાલ્યો ગયો..મને મોટા મોટા વાયદાઓ આપ્યા ને ત્યાં જઇ લગ્ન કરી લીધાં..!!!!….

આ સાંભળીને વૃષ્ટિ પણ ચોંકી ગઇ…કારણકે શિશીરનાં કુટુંબ સાથે એમને વરસો જૂનાં સંબંધો હતાં..શિશીર અને ગ્રિષ્મા વચ્ચે આટલાં વરસોની મૈત્રી હતી અને છેલ્લાં ત્રણ વરસથી તો બન્ને વચ્ચે પ્રણય પાંગર્યો હતો …અને અચાનક જ શિશીરે આ પગલું લીધું તેથી વૃષ્ટિને વાગેલો ઘા તાજો થયો, તીર્થે પણ આમ જ મારી સાથે બેવફાઇ કરી.. અને એની આંખો છલકાઇ ગઈ .. ગુસ્સાથી પુરુષ વિરોધી વાક્યો બોલવા લાગી…!

વૃષ્ટિનું આ રૂપ બધાએ પહેલી વાર જોયું ને અવાચક બનીને સાંભળી રહ્યાં… આટલા સમયથી દબાયેલ દર્દની લાગણીએ ગુસ્સારૂપી જવળામુખીનું સ્થાન લઈ લીધું અને તીર્થ પ્રત્યેનો પ્રણય, જે દર્દ બનીને હૈયે ધરબાયેલો હતો એ જ્વાળામુખી બનીને બહાર આવ્યો કે, આ દુનિયામાં નારીનું એક યા બીજી રીતે માનસિક શોષણ જ કરે છે આ પુરુષ ..! પોતાને જ્યારે પ્રેમની જરૂર હોય છે ત્યારે નારી પાસે એવો અભિનય કરે છે કે નારી એને પોતનો ભગવાન માની એની પૂજા કરે છે.. પણ જેવો પોતાનો સ્વાર્થ પુરો, પોતાને જે માનસિક આધાર, જે સમયે જોઇતો હતો એ સમયે મળી ગયો અને જેવી એ જરૂરત પૂરી થઈ કે, કોણ તું અને કોણ હું..? જાણે કે ઓળખતો જ નથી..!!…

આ બધું સાંભળીને પૂજન સમસમી ગયો – ” વૃષ્ટિ પ્લીઝ, ભગવાનને ખાતર, તું આ બધું બોલવાનું બંધ કર…!.. હવે મારે તને સાચી વાત કહેવી જ પડશે.. ” અને તે વૃષ્ટિને તીર્થનાં ઘરે લઇ ગયો…!!! રસ્તામાં તેણે બધી જ વાત કહી .. પણ એ સાંભળીને વૃષ્ટિની આંખો વરસી પડી..!!..દુ:ખ એ જ વાતનું હતું કે જેને પોતે અંતરનાં ઉંડાણથી ચાહ્યો એ જ મને સમજી ના શક્યો… અને જેણે મને આટલો સમય સંભાળી એના પ્રત્યે મેં ફરજ તો નિભાવી પણ આટલાં ઉંડાણપૂર્વક ચાહી ના શકી..!!..

ત્યારે પૂજને કહ્યું કે, આ તો અંતરમાં ઉદભવતી કુદરતી લાગણી ..!! આ લાગણીને ઉત્પન્ન કરવી એ માનવીનાં હાથમાં નથી…હું પહેલેથીજ જાણતો હતો કે તારા હૈયામાં જે સ્થાન તીર્થનું છે એ હું ક્યારેય લઇ નહીં શકું..ભલે એના તારી સાથેનાં આ વર્તનથી તું દુ:ખી કેમ ના હોય..?.. ચાહે એણે તારું દિલ તોડ્યું કેમ ના હોય..?? એણે ભલે તારી અવગણના કરી હોય અને તને દુ:ખ પહોચાડ્યું હોય પણ…. પ્રણય પોતાનું સ્થાન ક્યારેય છોડતો નથી..!! તમારી વચ્ચે બાહ્ય રીતે ભલે કોઈ જ બંધન ન હોય પણ આંતરીક બંધન છે એ અનોખું છે..જે કુદરતી જ છે એ હું સમજી શકું છું…કારણકે જેવી લાગણી તને તીર્થ માટે હતી એવીજ લાગણી મને તારા માટે છે..!

વૃષ્ટિ, પૂજનની આ સમજ, લાગણી અને ખેલદિલીને મનોમન વંદી રહી..!!..પરંતુ સાથે-સાથે તીર્થની હાલત વિષે જાણીને હૈયું કલ્પાંત કરવા લાગ્યું..! અફસોસ એ જ હતો કે કાશ, તીર્થે એને મોકો આપ્યો હોત તો જીવનભર એની પૂજા કરીને એની સેવા કરી શકી હોત…!.. પણ ..!! ..નસીબ પાસે ક્યાં કોઈનું યે ચાલ્યું છે..??..

આ તરફ તીર્થ પણ વ્યથિત હતો, આંસુઓને ખાળી ના શક્યો… તેણે પણ વૃષ્ટિની જેમ જ “પ્રણય”ની પૂજા કરી હતી..બન્નેનાં અનોખાંબંધનને ખૂબ માન આપ્યું હતું…!!  પણ સંજોગોને લીધે તેણે વૃષ્ટિ સાથે આવો વહેવાર કરવો પડ્યો એ પણ વૃષ્ટિનાં સુખ માટે જ તો..!!!.. વૃષ્ટિની આ બધી વાતો સાંભળીને એ વ્યથિત થઈ ગયો પણ પરિસ્થિતિને કારણે કોઈ પણ પ્રકારની સફાઇ આપવી ઉચિત ના સમજી… અને બીજે દિવસે અચાનક જ એક નિર્ણય લઇ લીધો …..!

એરપોર્ટ જતાં પહેલાં તીર્થે, પૂજન અને વૃષ્ટિને પત્ર લખ્યો કે,  જીવનની જે ક્ષણો બચી છે એ વિતાવવા ફરી ઑસ્ટ્રેલિયા જઇ રહ્યો છું .. પહેલાં પણ વૃષ્ટિને સુખી રાખવા મેં આ પગલું ભર્યું હતુ…! મારા ગયા પછી એ એકલી ના પડી જાય અને એને સુખ આપી શકે એવો એક માત્ર પૂજન તું જ હતો ..તેથી હું તમારા બન્નેની જિંદગીથી દૂર જતો રહ્યો હતો…બની શકે તો મને માફ કરી દેશો..!..બચેલી ક્ષણોની હર સંધ્યા મારે, અમારા મિલનસ્થળ પર પેલાં ઝરણાં પાસે વિતાવવી હતી એટલે હું અહીં આવ્યો હતો ..પણ હવે મેં વિચાર બદલ્યો છે અને જઇ રહ્યો છું.. તમારાં બન્નેની જિંદગીથી દૂર …. આ વખત હું મારા નવા ઘરનું સરનામુ કે ફોન નંબર નહીં આપુ..!!.. કારણ કે હું નથી ઇચ્છતો કે મારા કોઈ જ સમાચાર તમારા જીવન પર અસર કરે …! તમે બન્ને સુખી રહો એવી પ્રભુને પ્રાર્થના..!

હૈયામાં પોતાના પ્રણય-પૂજાની સામગ્રી રૂપી ઝાકળભીનાં સ્પંદનો લઇ ને તીર્થ ચાલી નીકળ્યો … તેની કાર એરપોર્ટ તરફ રવાના થઈ, ત્યારે રેડિયો પર આ ગીત ગુંજી રહ્યું હતું…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દિલ એક મંદિર હૈ ..પ્યાર કી જીસમે હોતી હૈ પૂજા,

યે પ્રિતમ કા ઘર હૈ…

હર ધડ્કન હૈ આરતી બંધન, આંખ જો મીંચી હો ગયે દર્શન …

મૌત મિટાદે ચાહે હસ્તી, યાદ તો અમર હૈ..!!!

હમ યાદોં કે ફૂલ ચઢાયે ઔર આંસુ કે દીપ જલાયે ,

સાંસો કા હર તાર પુકારે યે પ્રેમ નગર હૈ…

દિલ એક મંદિર હૈ ..પ્યાર કી જીસમે હોતી હૈ પૂજા,

યે પ્રિતમ કા ઘર હૈ…!

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

અભિનંદન…

By , September 2, 2008 10:36 pm

 અપણા ગુજરાતી બ્લોગ જગતનાં ગૌરવ સમા નિલમદીદીની ( પરમસમીપે ) કલમે વહેલી મમતા અને વાત્સલ્યની સરીતા વહાવતા ભાવવિશ્વ ને મળી રહ્યું છે દીકરી મારી દોસ્ત નામનું પુસ્તક સ્વરૂપ…!! જે પહેલાં, પરમ સમીપે બ્લોગ પર શ્રેણીબદ્ધ પોસ્ટ રૂપે લખાયેલું હતું, હવે એ જ ભાવવિશ્વનું પુસ્તક રૂપે વિમોચન શ્રીમોરારીબાપુનાં શ્રી હસ્તે થઇ રહ્યું છે એ જ આપણાં બ્લોગ જગત માટે એક ગૌરવની વાત છે….તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ સાંજે 4 થી 7 દરમ્યાન ટીવી ચેનલ સંસ્કાર પર આ પ્રસંગનું જીવંત પ્રસારણ થાવાનું છે…
ખરેખર દીકરી તરફની માં ની મમતાનું આલેખન થઇ જ ના શકે…

 મમતામાં ઓત-પ્રોત માતાને અચાનક અહેસાસ થાય છે…

શૈશવના આંગણે રમતા કલરવ એના,સાંભળ્યા હતા મેં હજુ હમણાં
હવે યૌવનના ઉંબરે ધીમા પગરવ એના,શમણા હશે કે મારી ભ્રમણા?”
  

( ભાવવિશ્વ માં વણેલી અન્ય રચના )

દીકરીને સાસરે મોકલવાની ઘડી આવે છે ત્યારે …

પીપળાએ આંખના આંસુને લૂછતાં.વડલાને ધીમેથી વાત કીધી સાનમાં,
સોનલ સિધાવે છે સાસરે, કહો તેને દઇશું ભેટ કઇ પિયરની યાદમાં?”

( ભાવવિશ્વ માં વણેલી અન્ય રચના )

અને નિલમદીદીએ પૂજાને ખુબ સરસ ભેટ આપી…

એક માતૃહૃદયની મમતા અને દીકરીનાં હૈયા કેરાં સ્પંદનોનું જે રીતે ભાવવિશ્વ રચ્યું છે એ વિષે અહીં લખવા કરતા, એ વાંચીને એની અનુભૂતી કરવી વધારે બહેતર લાગે છે…!! અમુક લાગણીઓને વર્ણવી શકાતી નથી…
દીદી…, વાર્તામાં પાત્રની અંદર પ્રાણ પૂરી, એને જીવંત કરી, એમાં સંવેદના ભરવી પણ એક કળા છે … આપ જેમ વાંચક-વર્ગને હસાવી શકો છો એમ જ રડાવી પણ શકો છો આપની કલમ દ્વારા…!!! હાસ્યરસમાં થી ક્યારે કરૂણરસ વહેવા લાગે એ જ ખબર નથી પડતી..! અને એ જ તો છે ખુબી એક લેખક/ લેખિકાની ..!

આપ આમ જ આપની કલમ દ્વારા અમને બધાને પ્રેરણા આપતા રહો એ જ અભ્યર્થના..!

આપને તથા આપની લેખનશૈલીને  નીરજ – ચેતના – ધ્વની નાં સ્નેહ સહિત અભિનંદન…!

 

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

રક્ષાબંધન…

By , August 16, 2008 12:18 am

h

રક્ષાબંધન એક એવુ અનોખુંબંધન છે, જ્યાં રાખડીનો કાચા સુતરનો તાંતણો,  ભાઈ-બહેનનાં હેતને જીવનભર બાંધી રાખે છે..ખરેખર ભાઈ બહેનનું હેત અસીમ હોય છે..લોહીની સગાઈ હોય કે ધર્મનાં ભાઈ બહેન …બન્નેનાં બચપણનું રમતિયાળ સહચર્ય તો ભાઈ કે બહેન જીવનભર ભુલી શક્તાં નથી. જેમ નદીનાં એકધારા વહી જતાં નીરને રોક્વા મુશ્કેલ છે..તેમ આ સ્નેહ-સરીતાનાં નીરને પણ રોકી શકાતાં નથી..ચાહે બન્ને એક્બીજાથી  દૂર હોય તો પણ આ સ્નેહ સરીતામાં, આ રક્ષા તણાઇને જલ્દી વીરા પાસે આવી પહોઁચે, તેમાં કેટલો હર્ષ – ઉમળકો હોય છે એ ભાઇ જાણતો જ હોય છે અને એને સ્વીકારતી વખતે ભાઇનાં મનોભાવો કેવાં હોય છે એ પણ બહેન દૂર રહીને પણ અનુભવતી હોય છે…!  ભાઇ બહેનનાં હેત માટે લોક સાહિત્યમાંથી હૃદયને સ્પર્શી જાય એવા કેટલાંય ગીતો મળી આવે છે.. જગતની દરેક ભાષાનાં સાહિત્યકારોએ આ નિ:સ્વાર્થ પ્રેમને અનેક રીતે બિરદાવ્યો છે, છતાં આ અલૌકિક, અનોખાં, નિ:સ્વાર્થ -પાવનકારી સ્નેહનાં વર્ણન માટે જગતનાં મહાકવિઓ – લેખકો કલમ ચલાવે તોય એમાં પૂર્ણતા થોડી જ આવી શકે..?

તેમ છતાં અમુક ગીતો છે જે પ્રખ્યાત છે, અને એમાંનું શ્રીઅવિનાશ વ્યાસ રચિત એક ગીત અંહી પ્રસ્તુત છે .. રક્ષાબંધનનાં અન્ય ગીતો માટે   અંહી ક્લિક કરો

 

( આ વિડીયો મોકલવા બદલ મિત્ર કૌશલભાઇ ત્રિવેદી – ( જામનગર ) નો  ખૂબ આભાર )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

 હે…લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,

હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,

લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે… કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,

બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,

પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો… કોણ…

હે…આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,

મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય

કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે… બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી઼

*

હે… આજ વીરો મારો લાવશે ભાગ …. મીઠાં ફળ લેશું ,

ભાઇ બેનીનાં હેતની આગળ, જગ આખું થશે દૂર..

વીરાંને રાખડી બાંધુ, વીરાંનાં મીઠડાં લેશું… કોણ હલાવે….લીંબડી..!

( આ ગીત મોક્લવા બદલ મિત્ર નીરજભાઇ – રણકાર  ( લંડન ) નો ખૂબ આભાર. )

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

વેબ ગુર્જરી પર ‘ સમન્વય ‘ …

By , June 7, 2008 9:08 pm
*
મિત્રો, સહર્ષ જણાવવાનું કે ‘ ગાંધીનગર સમાચાર ’ નામનાં ગુજરાતી સમાચાર પત્રમાં ધબકાર ગૃપ દ્વારા શરૂ કરેલી કૉલમ ‘વેબ ગુર્જરી’ પર સમન્વય વિષે લેખ પ્રકાશિત થયેલ છે, એ માટે દરેક મિત્રો- વાંચકો, ધબકાર ગૃપ તથા ‘ ગાંધીનગર સમાચાર ’ નો ખૂબ ખૂબ આભાર …!

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક… Poll (2)

By , May 6, 2008 7:20 pm

..મિત્રો, ..

પ્રેમ અને ” પ્રેમ ની પરાકાષ્ઠા ” વિષે ખૂબ સુંદર અને શ્રેષ્ઠ પ્રતિભાવો આવ્યાં ..આપ સહુ નો આટલો સરસ પ્રતિસાદ મળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર .. આવી જ રીતે આગળ પણ આપ સર્વે મિત્રોનો સહકાર મળશે એવી આશા ..! .

આજનો બીજો સવાલ છે ” પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક એટલે …”

અને જવાબ રૂપે છે, શ્રેષ્ઠ ત્રણ પ્રતિકો ….રુકિમણીજી …રાધાજી …અને મીરાંબાઇ..!

આમ તો અલૌકિક દ્રષ્ટીથી જોઇએ તો શ્રીકૃષ્ણ ભગવાને તો ભક્તો, ગોપ-ગોપીઓ, રાણી-પટરાણી દરેક પર એક સરખી અમીદ્રષ્ટી રાખી સ્નેહ વરસાવ્યો છે … જે ખુદ શ્રીનારદજી એ પણ નિહાળ્યું છે..એમણે એક જ સમયે, એક એક ગોપી, એક એક રાણી સાથે શ્રીપ્રભુને બિરાજેલાં નિહાળ્યાં છે… પણ આજે આપણે અલૌકિક નહીં પરંતુ લૌકિક દ્રષ્ટીએ વિચારીને આપણાં મત અને મંતવ્યો આપવાનાં છે…

આપણે સહુ જાણીએ છીએ કે રુકિમણીજીને શ્રીકૃષ્ણ ભગવાને એમની જીવનસંગીની બનવાનું સૌભાગ્ય આપ્યું અને આવી રીતે રુકિમણીજીને ભગવાનનો જીવનભરનો સાથ પ્રાપ્ત થયો… તો રાધાજીને પ્રભુએ અનંત યુગો સુધી પોતાના નામની પહેલાં રાધાજીનું નામ બોલાય એવી રીતે એમનાં નામને અગ્રસ્થાન આપ્યું….આ સૌભાગ્ય રાધાજી ને પ્રાપ્ત થયું, તો મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિને લીધે જ્યારે-જ્યારે જરૂર પડી ત્યારે પ્રભુ પ્રગટ થયાં અને અંતે પ્રભુએ એમને પોતાનામાં સમાવી લીધાં..( ત્યારે અચાનક જ મંદિરનાં દ્વાર બંધ થઇ ગયાં અને મંદિરમાંથી મીરાંબાઇ અદ્રશ્ય થઇ ગયાં હતાં અને પછી જ્યારે દ્વાર ઉઘડ્યાં ત્યારે એમની સાડી શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પર વિંટળાયેલી હતી અને વાંસળીનાં સૂર સાથે મીરાંબાઇનાં જ સ્વરમાં ભજન સંભળાઇ રહ્યું હતું…)

આમ આ ત્રણ શ્રેષ્ઠ પ્રતિકો છે જેમનો પ્રેમ પરીપૂર્ણ થયો છે …પણ આપ સહુનાં મતે પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક કોણ હોઇ શકે? . ..આ વિષય પર પણ આપના અમુલ્ય પ્રતિભાવો લખશો એવી આશા…!

અત્યારે આ સાથે જ એક ગીત પણ યાદ આવે છે .. ખૂબ સરસ શબ્દો છે..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક રાધા, એક મીરાં, દોનો ને શ્યામકો ચાહા…

અંતર ક્યા દોનો કી ચાહ મે બોલો ? એક પ્રેમ દિવાની, એક દરશ દિવાની…

રાધાને મધુબનમેં ઢુંઢા, મીરાંને મનમેં પાયા…

રાધા જીસે ખો બૈઠી વો ગોવિંદ, મીરાં હાથ બિઠાયા…

એક મુરલી, એક પાયલ, એક પગલી, એક ઘાયલ…

અંતર ક્યા દોનો કી પ્રીતમેં બોલો ? એક સુરત લુભાની એક મુરત લુભાની…

મીરાંકે પ્રભુ ગીરિધર નાગર, રાધાકે મન મોહન…

રાધા નીત શ્રિંગાર કરે ઔર મીરાં બન ગઇ જોગન…

એક રાની, એક દાસી દોનો હરિ-પ્રેમ કી પ્યાસી…

અંતર ક્યા દોનો કી તૃપ્તીમેં બોલો ? એક જીત ના માની એક હાર ના માની…

એક રાધા ..એક મીરાં.. દોનોને શ્યામ કો ચાહા…

અંતર ક્યા દોનો કી ચાહમેં બોલો ? એક પ્રેમ દિવાની, એક દરશ દિવાની…

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

Panorama theme by Themocracy

Powered By Indic IME

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin

Copy Protected by Chetans WP-Copyprotect.