જીંદગી બદલી ગઇ…

By samnvay, August 7, 2010 7:08 pm

( તાજેતરમાં તળ ગુજરાતથી પધારેલ કવિશ્રી કૃષ્ણ દવે સાથે લંડન ખાતે યોજાયેલ એક યાદગાર મજલિસ …‘પાંગરેલી એક કૂંપળની કથા’માં મને આ રચના પ્રસ્તુત કરવાની તક મળેલ, એ બદલ ગુજરાતી સાહિત્ય અકાદમી, બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસ તથા સંચાલક શ્રી પંચમભાઈ શુક્લનો ખૂબ ખૂબ આભાર..!! )

***

મિત્રો, અત્યારે આપની સમક્ષ જે રચના પ્રસ્તુત કરવા જઇ રહી છું , તે મેં આંત:સ્ફૂરણાથી ઉદ્ભવેલ લયમાં લખી છે.. સુખ-દુ:ખ અને ખુશી-દર્દ એ જીવનના વાસ્તવિક પાસા છે..આથી એવી અનેક હર્ષ -શોક મિશ્રિત સંવેદનાઓ માનવીના હૈયામાં ઉદભવતી રહે છે…!

જીંદગીમાં જ્યારે પ્રણય પાંગરતો હોય છે ત્યારે થતી અનુભૂતિઓને પહેલી ચાર પંક્તિઓમાં દર્શાવી છે ..

***

Radha-Krsna[1]

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારી પ્રેમ નીતરતી આંખો વણ-કહી વાત કહી ગઈ…
તેની અબોલ ભાષા સમજી પાંપણ મારી ઝુકી ગઈ…
શબ્દો વિનાની એક ગઝલ બંધ હોઠો થી પ્રગટ ગઈ…
તારાં હૈયામાંથી નીકળી મારાં હૈયામાં વસી ગઈ… !
*
પરંતુ જીવનમાં અચાનક જ કોઈ એવો તબક્કો આવે છે, ને સંજોગોનું પરિવર્તન આવી જાય છે -
જ્યારે સ્વપ્નો તૂટીને ચુર થઇ જાય છે, ત્યારે થતી અનુભૂતિઓની આ પંક્તિઓ ..!!

***

Pictures3

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પગરણ પાનખરનાં પડ્યાં એવાં કે દિશા બદલી ગઈ..
ઝખ્મો અમને મળ્યાં એવાં કે દશા બદલી ગઈ…

નયનો મહીં નીર વહ્યાં એવાં કે સરિતા બદલી ગઈ..
હૈયાં મહીં શબ્દો ખુટ્યાં એવાં કે કવિતા બદલી ગઈ..

મનવીણાનાં તાર તુટ્યાં એવાં કે સરગમ બદલી ગઈ..
સૂર તણાં સપ્તક તુટ્યાં એવાં કે સરગમ બદલી ગઈ..

ઝગમગતા સ્વપ્નો તુટ્યાં એવાં કે રાત બદલી ગઈ..
સંજોગો ઉદભવ્યા એવા કે આખી વાત બદલી ગઈ

લેણ-દેણ તણાં અંજળ ખુટ્યાં એવાં કે દુનિયા બદલી ગઈ..
જન્મોજન્મનાં સંબંધ તુટ્યાં એવાં કે જીંદગી બદલી ગઈ…!!

***

કવિશ્રી કૃષ્ણ દવે સાથે એક મજલિસ (લંડન)…

મિત્રો, શનિવાર, ૧૭ જુલાઈ ૨૦૧૦ ના રોજ, ગુજરાતી સાહિત્ય અકાદમી (લંડન) બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના સક્રિય સાથ સહકારમાં યોજાયેલ મજલિસ ‘પાંગરેલી એક કૂંપળની કથા’ માં મુખ્ય અતિથી હતા ગુજરાતી સાહિત્યના ધ્યાનાર્હ કવિશ્રી કૃષ્ણ દવે.

18

ઠીક બપોરે ૨.30 થી ૪.30 કલાક દરમ્યાન ગુજરાતી સાહિત્ય અકાદમી (લંડન) અને બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના સક્રિય સાથ સહકારમાં તળ ગુજરાતથી પધારેલ કવિશ્રી કૃષ્ણ દવે સાથે એક મજલિસ ‘પાંગરેલી એક કૂંપળની કથા’ નું ઈલિંગ રોડ લાઈબ્રેરીમાં આયોજન કરવામાં આવ્યું હતું, તથા આશરે ૫૦ થી ૬૦ની સંખ્યામાં સાહિત્ય રસિકો દૂર દૂરથી આવીને ઉમળકાભેર હાજર રહ્યા હતા. વિશેષ ઉપસ્થિતિમાં ધ્યાન ખેંચ્યુ હતું, શ્રી પ્રકાશભાઈ લાલા (અખંડ આનંદ)ના સહતંત્રીશ્રીએ. આમંત્રિત કવિ ઈલિંગ રોડના ટ્રાફિકમાં ફસાઈ જઈ મોડા પડવાને કારણે મજલિસ 15 મિનિટ જેટલી મોડી શરૂ થઈ લગભગ એટલી જ મોડી પતી હતી.

30*11

લાઈબ્રેરીના બન્ને ખુણાઓથી બેઠેલા શ્રોતાઓની ઝલક


MIX

ડાબેથી શ્રીવિપુલભાઈ કલ્યાણી (તંત્રી-ઓપીનીયન મેગેઝીન-લંડન), શ્રીપ્રકાશભાઈ લાલા (સહતંત્રી-અખંડ આનંદ), કવિશ્રી કૃષ્ણ દવે, સ્થાનિક વાર્તાકાર શ્રીઅનિલભાઈ વ્યાસ તથા શ્રીપંચમભાઈ શુક્લ.

આખીયે મજલિસ ચાર સ્પષ્ટ તબક્કાઓમાં આયોજિત કરવામાં આવી હતી:

૧) સ્વાગત, ૨) સ્થાનિક કવિ/બ્લોગર્સની રજૂઆત, 3) આમંત્રિત કવિનો પરિચય અને પઠન, અને ૪ ) સમાપન.

*

25

ડાબેથી શ્રી પંચમભાઈ, કવિશ્રી કૃષ્ણ દવે, અકાદમીના પ્રમુખશ્રી અનિલભાઈ કાગળવાળા.
૧) સ્વાગત

પ્રથમ તબક્કામાં લાઈબ્રેરીયન ઉષાબેન મહેતાએ લાઈબ્રેરીનો પરિચય સાથે ફાયર સેફ્ટી જેવા નિયમો પણ યાદ અપાવ્યા હતાં. અકાદમીના પ્રમુખ શ્રી અનિલભાઈ કાગળવાળાએ આમંત્રિત કવિ શ્રી કૃષ્ણ દવે સાથે સ્થાનિક કવિઓ અને ભાવકોનું સ્વાગત કર્યુ હતું. મહેમાન કવિને પ્રતીક યાદગીરી રૂપે અકાદમીનો અભિવાદન પત્ર અને અકાદમી સંપાદિત પુસ્તક ‘આચમન’ (સંપાદક: અનિલ વ્યાસ અને રમણભાઈ પટેલ) ભેટ ધર્યા હતાં.

૨) સ્થાનિક કવિ/બ્લોગર્સની રજૂઆત

બીજા તબક્કામાં, ચાર સ્થાનિક બ્લૉગર્સ/કવિઓ (નીરજ શાહ, ચેતના શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’, અને પંચમ શુક્લ) રજૂ થયા હતા.

NI*CS

શ્રી નીરજ શાહ * ચેતના શાહ

સહુ પ્રથમ રણકાર ડૉટ કૉમ, (www.rankaar.com)ના સર્જક શ્રી નીરજભાઈ શાહે એમની ગુજરાતી કાવ્યસંગીતની વેબસાઈટની શરૂઆત/પ્રેરણા , વિવિધ સુવિધાઓ અને વ્યાપના આંકડાઓ રજૂ કર્યા હતાં. આ સાઈટ/બ્લૉગ દ્વારા તેઓની આંતરિક અનુભૂતિની ટૂંકી પણ સ્પષ્ટ રજૂઆત યુવાનો સહિત વડીલોને પણ આ નવા માધ્યમને ફંફોસવા લલચાવે એવી હતી [નીરજભાઈના વક્તવ્યની PDF].

ત્યાર બાદ પંચમભાઈએ સમન્વય ડૉટ નેટ (www.samnvay.net)ના સર્જક ચેતનાબહેન શાહ અને ભક્તિ-સંગીત-સાહિત્યનો સમન્વય કરેલી એમની સાઈટનો પરિચય આપી એમની એક કાવ્યકૃતિ રજૂ કરવા આમંત્રિત કર્યા હતા. ચેતનાબહેને ‘જીંદગી બદલી ગઈ’ શીર્ષક હેઠળ જીવનમાં પાંગરતા પ્રણયની અનુભૂતિ .. તારી પ્રેમ નીતરતી આંખો વણ કહી વાત કહી ગઈ … ને ચાર પંક્તિઓમાં દર્શાવીને પછી જીવનમાં અમુક તબક્કે આવતા પરિવર્તનથી જયારે સ્વપ્નો તૂટે છે ત્યારે થતી અનુભૂતિ ‘..પગરણ પાનખરના પડ્યા …. જન્મોજન્મના સંબંધ છૂટ્યા ..’ જેવી પંક્તિઓ ભાવવાહી રીતે રજૂ કરી શ્રોતાઓમાં કારુણ્યની લહેર વહેતી મૂકી હતી.

*

rameshbhai

કવિશ્રી રમેશભાઈ પટેલ

ત્રીજા ક્રમે બ્રિટનમાં 55 જેટલા વર્ષોથી સ્થાયી એવા વડીલ કવિ શ્રી રમેશભાઈ પટેલ (‘પ્રેમોર્મિ’) એ મીઠી તરજ પર વિધાયક ભાવથી છલોછલ ભક્તિપદ જેવી ગીત રચના ગાઈ સંભળાવી ભાવકોમાં અનુગાંધીયુગનાં સૌંદર્યનો સંચાર કર્યો હતો.

આખરે પંચમભાઈએ એમની આગવી શૈલીમાં ગઝલ લેખની પ્રકિયાને બારીક રીતે તપાસતી ગઝલ ‘ગઝલ લખ’ પ્રવાહી અને સ્પષ્ટ સ્વરે રજૂ કરી આમંત્રિત કવિ સહિત શ્રોતાઓને અરુઢ શબ્દાવલિ અને છંદોલય દ્વારા એક અનોખાં ભાવવિશ્વની સફર કરાવી હતી.

3) આમંત્રિત કવિનો પરિચય અને પઠન

સહુ શ્રોતાજનોના સુંદર પ્રતિસાદ બાદ શ્રી પંચમભાઈએ આમંત્રિત કવિ શ્રી કૃષ્ણ દવે નો પરિચય આપ્યો.તથા એમના ત્રણ સંગ્રહો પ્રહાર’, ‘વાંસલડી ડૉટ કૉમ’, ‘ભોંદુભાઈ તોફાની’ વિષે માહિતી આપી ..કવિશ્રીની લેખન શૈલીના વૈવિધ્ય વિષે સુંદર વક્તવ્ય આપ્યું કે ‘.. જેમને એક ચોખટામાં બાંધી ના શકાય ..કે અમુક ચોક્કસ પ્રકારના કાવ્યો નહીં પરંતુ અલગ અલગ વિષય આવરી લઈને દરેક રચનાઓ રચે છે.. કટાક્ષ -વ્યંગ, ધાર્મિક , પૌરાણિક કે આપણી આજુબાજુ ઘટતી ઘટનાઓ જેમકે બોમ્બ બ્લાસ્ટ, ત્સુનામી કે ભૂકંપ જેવી ઘટનાથી સંવેદિત થઈને રચેલી રચના કે નેનો ટેકનોલોજી કે ચૂંટણી,ભ્રષ્ટાચાર -વિષે વ્યંગ , કારગીલ યુદ્ધ કે આત્મહત્યા-અંધશ્રદ્ધા ઉપર રચેલી રચના… !! કવિશ્રીએ ગુજલીશ ગઝલ પણ રચી છે .. ચિંતન -તત્વ દર્શન વિગેરે પણ એમની રચનાઓમાં હોય છે અને એકદમ સરળ શૈલીમાં લખેલી દરેક વાતોનો હાર્દ એમની રચનાઓથી આપણને સ્પર્શી જાય છે .. શ્રી પંચમભાઈએ, એ પણ જણાવ્યુંકે, કોઈ બ્લોગ પર એમણે કોમેન્ટ માં વાંચેલુ કે, આ કવિને આપણે કંઈ ઉપમાથી નાવાજીશું ? મોર્ડન મીરાં બાઈ ? નેટીઝન નરસૈયો ? ટેકનો પોએટ ? કવિશ્રીના દરેક સંદર્ભોમાં લખેલી રચનાઓ ( આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે… ઊગે છે.. ચાલને રમીએ પળ બે પળ..ચૂંટણી.. ચોમાસુ બેઠું.. નક્કી દુખે છે તને પેટમાં.. બે ઘડી વાતો કરી…માણસ છે, બીઝનેસ કરે છે… વાંસલડી ડૉટ કૉમ.. શું થયું મુંબઇ ?.. સરનામું… હે વિહંગ .. વિગેરે ) વિષે સુંદર રીતે માહિતી આપ્યા બાદ શ્રીપંચમભાઈએ મજલિસનો દોર કવિશ્રી કૃષ્ણ દવેના હાથમાં સોંપી દીધો…

યુવાકવિ અને જાણીતા બ્લોગર શ્રીપંચમભાઈ શુકલ (www.spancham.wordpress.com) આમંત્રિત કવિને જ કેન્દ્રમાં રાખી સુચારુ, મિતભાષી અને સમય વિવેક ભર્યું સંચાલન કરી શ્રોતાઓની પ્રસન્નતા પામ્યા હતા.

કવિશ્રીએ સ્થાનિક સાહિત્યિક પ્રવૃત્તિ વિષે પ્રસંગોચિત ટીપ્પણી કરીને એમની કાવ્ય યાત્રાનું ટૂંકું બયાન કર્યું. ત્યાર બાદ સતત કલાક સુધી એમના કાવ્યોનું પઠન કર્યું .. શરૂઆત એમની પ્રિય રચનાથી કરી .. ‘

‘મારી સાથે આવો .. લ્યો પહેરી લ્યો આ પવન પાવડી, શબ્દોની-છંદોની-લયની..આ ગીતોના પરિશુદ્ધ પ્રણયની ..

હું દેખાડું નર્તન એનું, કે જેની રુમઝુમ પગલીઓમાં, તમે તાલ મિલાવો,મારી સાથે આવો..!’

આ સુંદર રચનાથી શ્રોતાઓને પોતાના ભાવવિશ્વમાં પધારવાનું આમંત્રણ આપીને કાવ્ય-સફર શરુ કરી …

‘એક-બે પળ ઝ્ળહળ્યાં તો બહુ થયું, આપણે ખુદને મળ્યા તો બહુ થયું..’

ઝાંઝવા છે બોર્ડ તો લટકાવીએ, એક-બે પાછા વળ્યા તો બહુ થયું..!!

પછી તો ગઝલો – બાળગીતોનો સીલસીલો ચાલ્યો …’ગઝલની ખરલમાં મને ખુબ ઘૂંટી, નિરાંતે નીચોવી નિતારીને બેઠા’…, ‘પરપોટા હાથમાં લઇ કહે કે, આની કેમ ઉખડતી નથી છાલ..?’ એ ઉપરાંત મહાભારતના પાત્રોના જીવન ચરિત્રને એક એક શેરમાં સમાવીને એમના નામ વિના જ આલેખીને સુંદર રસ દર્શન કરાવ્યું ..શિર્ષક હતું ‘માથાકૂટ છે’.

*

ત્યારે વહાવેલ કાવ્યરસને આપ અહીં વિડીયો પર, એમની લાક્ષણીક અદામાં માણી શકશો..

*

માથાકૂટ છે

માણસ છે બિઝનેસ કરે છે

આની રોજ રોજ હોય છે બબાલ

હાંફી ગયાને ?

એ પછી ગઝલ અને ગીતો રૂપી કાવ્યધારા વરસાવીને, એક પછી એક સુંદર બાળગીત રજુ કર્યા ..સન્નાટો, એક મંકોડે મિટીંગ બોલાવી વિગેરે .. તથા વિશ્વભરમાં જે રીતે આપણા ગુજરાતીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે ..એ વિષે એક સુંદર રચના દ્વારા ગુજરાતી પ્રજાની વાત કરી..

‘ઉગાડે એમ કદી ઉગવાનું નહિ ..આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહિ ..

હસવું જો આવે તો હસવું બેફામ ..આંસુ જો આવે તો લુંછવાનું નહિ..!

ઉંડે ને ઉંડે જઈ બીજું કરવાનું ? ધરવાનું આપણુ જ ધ્યાન ..!

કોઈ દેખાડે આમ, કે દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહિ ..!!!

અંતે તેઓશ્રીની સુપ્રસિદ્ધ અને સહુની પ્રિય એવી આ રચના ‘વાંસલડી ડૉટ કૉમ’ બધા મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા .. કવિશ્રીની સુંદર વાણીમાં ને એમના આગવા લહેકામાં એમની રચના માણવાનો આનંદ જ કૈક અદ્ભુત હતો..

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?

*

23

શ્રી પ્રભાતદેવ ભોજક

ત્યારબાદ શ્રીપ્રભાતદેવ ભોજક દ્વારા સ્વરબદ્ધ, કવિશ્રીની જ એક રચના ”પ્રભાત” નું સંગીત સહ હળવું કંઠ્યગાન સાંભળ્યું..!!

‘સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રહું હું બહાર, કળી કહે કે થોભ જરા હું ખોલી નાખું દ્વાર ..! ‘

આ સુંદર ગીત અને સંગીત સાંભળી વાતાવરણ સંગીતમય બની ગયું…

*
૪ ) સમાપન

31

અકાદમીના મહામંત્રી ભદ્રાબહેન.


અંતમાં મહામંત્રી ભદ્રાબહેને, જે બ્રિટનના કવિઓ-લેખકોની કૃતિઓનું સંકલન કરેલ ‘આચમન’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે, એ પુસ્તક વિષે માહિતી આપી અને સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું.

આ સુંદર અને અવિસ્મરણીય મજલિસ હજુયે નજર સમક્ષ દ્રશ્યમાન થાય છે ..!!

***


ઋણ સ્વીકાર
***
ગુજરાતી સાહિત્ય અકાદમી. (લંડન)
બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસ.
આલેખન પ્રેરણા – શ્રી પંચમ શુક્લ.
ટેકનીકલ સપોર્ટ – શ્રી નીરજ શાહ.

***

ગઝલ લખ…

ist2_4172943-feather-pen-in-a-hand

***

પ્રિય મિત્ર શ્રીપંચમભાઈ શુક્લનું નામ બ્લોગજગતથી કે સાહિત્ય પ્રેમીઓથી અજાણ્યું નથી જ …એમની ગઝલ જ એમની ઓળખ છે એમ કહી શકાય .. એમના વિષે વધુ અહીં વાંચી શકાશે.

આજે આપણે એમની આ ગઝલ માણીએ એમના જ સ્વરમાં, જે એમણે તાજેતરમાં તળ ગુજરાતથી પધારેલ કવિશ્રી કૃષ્ણ દવે સાથે લંડનમાં યોજાયેલ એક મજલિસ ‘પાંગરેલી એક કૂંપળની કથા’માં પ્રસ્તુત કરેલ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું પ્રથમ પરંપરામાં પળીને ગઝલ લખ,
મેઘદૂત વાંચીને વાદળીને ગઝલ લખ.

વાતચીત શી સરળ ગઝલ ગૂંથી શકાશે,
ઢળ જરાક તુંય છંદે ઢળીને ગઝલ લખ.

આધુનિક જણાય,પણ હોય ભીતર અસલ-
એવી અનૂઠી કો તરજ પર લળીને ગઝલ લખ.

કાફિયા, રદીફ ને ગઝલિયત જ્યારે રૂઠે,
સાદ તારો કાન દઈ સાંભળીને ગઝલ લખ.

ખૂબ ચાવી ચાવીને પી જજે દર્દ કકરું,
‘આહ’માં જ ‘વાહ’ શું ઓગળીને ગઝલ લખ.

પ્રેમરસ ને ભક્તિરસ બેય થી જા ધરાઈ-
ખૂબ, ત્યારે સહેજ બસ ટળવળીને ગઝલ લખ.

છંદ-વિધાનઃ ગાલગાલ ગાલગા ગાલગા ગાલગાગા

***

મૈત્રીની મ્હેંક…

By samnvay, July 31, 2010 9:19 pm

1684956726_1584e33e9d[1]

***

શુભ આજે બહુ વ્યસ્ત હતો … એક પછી એક કાર્ડ લખીને એક તરફ મૂકી, બોલતો જતો હતો કે ઉફ્ફ ..હવે આ કાર્ડ્સ પુરા થાય તો સારું … અને હાથમાં એક કાર્ડ આવ્યું .. વળી એકતરફ મુક્યું .. ને બીજું લીધું .. હમમમ … આ દીપને માટે સારું છે … પેલું બંટી માટે .. હા, આમાં ખાસ કશું લખેલ નથી એ પેલી ચિબાવલી ટીશા માટે.. લાસ્ટ યર એ મારી નોટબુક લઇ ગઈ તે પાછી આપી જ નહિ .. ને કહે કે ખોવાઈ ગઈ.. સાવ ખોટાડી છે એ તો. આમ તો એને કાર્ડ મોકલવાની ઈચ્છા જ નથી થતી .. પણ ગૃપમાં રહી ને ? કર્ટસી માટે પણ મોકલવું પડે ..! ચાલે ..એટલે જ એને તો આવું સિમ્પલ કાર્ડ જ મોકલી આપીશ … આવા બે કાર્ડ્સ છે ..પેલા અંશુને પણ એ જ મોકલું .. કાયમ મારી સાથે આર્ગ્યુંમેન્ટ જ કરતો હોય…!!પછી કૈક સારા લખાણ વાળું કાર્ડ હાથમાં આવ્યું .. હમમ .. આ પીન્ટુ ને મોકલું .. !! એ તો ગૃપમાં આવે તો પણ શાંતિથી બધાને સાંભળે …કશા પ્રોબ્લેમ્સ ક્રિએટ ના કરે .. એના માટે આવું કૈક સારું જ મોકલાય ..! અને અહા.. આ તો કે ..ટ ..લુ .. સરસ કાર્ડ છે !! આ તો નીલને જ મોકલું … એ કાયમ મારી વાત માને છે ..!! હંમેશ મારી ફેવરમાં જ હોય ..!!

શીલા ક્યારની તેના ૧૧ વર્ષના પુત્રની આ બધી હરકત જોઈ રહી હતી .. તેને પૂછ્યું …શુભ, શું આ બધા પથારા કર્યા છે ? અને આટલા બધા કાર્ડ્સ ?

‘ઓહો મમ્મી .. તને એટલું પણ યાદ નથી કે આજે ” ફ્રેન્ડશીપ ડે ” છે ? તો બધા ફ્રેન્ડસ ને કાર્ડ્સ મોકલવા પડે ને ?”

શીલા હસી… ‘શુભ, તું તો એવી રીતે કાર્ડ્સ લખવા બેઠો છે જાણે કે કંકોત્રીઓ લખી રહ્યો હોય..!!’ બેટા તમે લોકો જેને ફ્રેન્ડશીપ ડે કહો છો એવા અમારે તો ૩૬૫ દિવસ હોય .. !!

ત્યાં તો ડોરબેલ રણકી ..વર્ષો જુના નોકર કેશવે બારણું ખોલ્યું …શીલા અને શુભ રૂમમાંથી બહાર આવ્યા …ને શીલાની આંખ ચમકી ઉઠી ..!!

***

આ તરફ રાજનની ઓફીસમાં મહત્વની મિટીંગ ચાલી રહી હતી..પરંતુ રાજનનું મન ના જાણે કેમ બેચેન હતું .. વારે વારે ઘડિયાળ તરફ નજર કરતા રાજનને તેના સેક્રેટરીએ પૂછ્યું કે સર, આજે આપનું ધ્યાન ક્યા છે ? જે વિષય પર ચર્ચા ચાલી રહી છે, એનાથી વિરુદ્ધ મંતવ્યો તમે આપી રહ્યા છો..પરંતુ રાજનની અકળામણ વધી ને અંતે કહી દીધુ કે આજની મિટીંગ કેન્સલ ..!! બધા આશ્ચર્યથી જોઈ રહ્યા ..!! જે બોસ કાયમ સમયના પાબંધ .. પુરેપુરી ડિસીપ્લીનના આગ્રહી..કોઈ કાર્ય અધૂરું ના મુકે એવા બોસ, આજે આ મહત્વની મીટીંગને કેન્સલ કરીને કેટલું મોટું નુકશાન વ્હોરી રહ્યા છે ? .. અંદરોઅંદર સ્ટાફમાં પણ ઘણી વાતો થઇ પરંતુ, રાજનને તો ઉતાવળ હતી ..ઓફિસમાંથી નીકળીને જલ્દી કારમાં ઘર તરફ જવા નીકળી ગયો…રસ્તામાં ડ્રાઈવરને પણ કારની સ્પીડ વધારવાની સુચના આપી … પરંતુ ટ્રાફિક .. !! અને એ પણ મુંબઈનો ..!! આજે તો રાજનની હાલત જોઈ ડ્રાઈવરને પણ કુતૂહલ થયું ..અંતે એ ઘરે તો પહોચ્યો.. રઘવાયો થઈને ઘરમાં કોઈને શોધવા લાગ્યો… !!

કોઈ ના દેખાયું એટલે શીલાના નામની બુમો પાડી … શીલા આવી ને કંઈ કહે એ પહેલા,

‘શીલા .. શીલા.. કેટલા વાગ્યા ..? ડ્રાઈવરને મોકલ્યો ?

‘મેં ભૂલ કરી ..આજે હું ઓફીસ ના ગયો હોત તો…અરે ઓફીસથી સીધો હું સ્ટેશન પર ગયો હોત તો..!!’

શીલા મીઠું મલકી : શાંતિ રાખો રાજન … !

‘અરે પણ તને ખબર છે કે …’

‘હા હા.. મને બધી ખબર છે ..’

‘તો પછી..? ચાલ હવે જલ્દી જઈએ …’

‘કયાંય જવાની જરૂર નથી …વિરેનભાઈ આવી ગયા છે ..

‘હેં ..??? ક્યા છે ? મને કેમ દેખાતો નથી ..??

ડ્રાઈવર અને ઘરના નોકરોએ ક્યારેય પોતાના શેઠને આવી રીતે રઘવાયા થતા નહોતા જોયા ..શુભ પણ ડેડીનું આવું રૂપ પહેલી વાર જ જોઈ રહ્યો..!!

‘અરે શાંતિ રાખો રાજન… વિરેનભાઈને જરા ફ્રેશ થવા માટે ગેસ્ટરૂમમાં મોકલ્યા છે …’ શીલા ફરી મલકી ને શુભ તરફ જોયું … શુભ તો અવાચક… ડેડીની સામે જ જોઈ રહ્યો હતો …!!

ત્યાં તો વિરેન પણ રૂમમાં થી બહાર આવ્યો … રાજને તો હાથમાંની એટેચી-બેગને સોફા પર ફંગોળી અને વિરેનને ભેટી પડ્યો …બન્નેની આંખોમાંથી અમીધારા વહેવા લાગી .. ઓફિસમાં કડકાઈ અને કઠોરતાનું મહોરું પહેરતો રાજન અત્યારે મીણ જેવો નરમ દેખાતો હતો.. આફટર ઓલ ૧૫ વરસ પછી બન્ને મિત્રો રૂબરૂ મળી રહ્યા હતા ..!!!

વિરેન ગુજરાતમાં સ્થાયી થયો હતો અને રાજનને બિઝનેસ માટે દેશ-વિદેશ ફરવું પડતું .. તેથી બહુ સમય મળતો જ નહીં .. પરંતુ બન્નેની દોસ્તી અતુટ હતી … ભલે રૂબરૂ નહોતા મળતા, પરંતુ પત્રવ્યવહાર ચાલુ હતો એ પછી ફોન અને ઈમેલ દ્વારા પણ સંપર્ક ચાલુ જ રહેતો …રાજનની આર્થિક પરિસ્થિતિ વિરેન કરતા ઘણી સારી હતી છતાં પણ ક્યારેય બન્નેના સંબંધ વચ્ચે એવા કોઈ જ પરિબળો નહોતા આવ્યા કે એમની મૈત્રીમાં કોઈ ભંગ પડે… અગર કોઈ ગેરસમજ થતી તો પણ બંનેને એકબીજા વિના ચેન ના પડતું.

રાજને ઘણીવાર વિરેનને ખબર પણ ના હોય એવી રીતે ગુપ્ત મદદ કરી હતી ..કારણકે એ જાણતો હતો કે વિરેન જેવો સ્વમાની વ્યક્તિ એમ જ તો મદદ નહીં જ સ્વીકારે .. અને વિરેને પણ ક્યારેય રાજન તરફથી કોઈ જ અપેક્ષા રાખી નહોતી .. !!

પછી તો અલકમલકની વાતોનો દોર ચાલુ થયો .. વચ્ચે વચ્ચે જુના સંસ્મરણો તાજા થયા.. બાળપણમાં કેવા તોફાનો કરતા .. કોઈના ખેતરે જઈને કાંઈ ને કાંઈ ટીખળ કરી આવતા …અને એકના બદલે બીજા એ સજા ભોગવી હતી વિગેરે, બંનેની મૈત્રીના અનેક પ્રસંગો, શુભ એકાગ્રતાથી સાંભળતો રહ્યો…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બચપણમાં હંમેશ જે ગીત લલકારતા, ‘તિનક તિનક તીન્તારા …’ એ શીલાના આગ્રહથી ફરી બન્નેએ સાથે ગાવાનું ચાલુ કર્યું, જેમાં શીલા અને શુભ પણ જોડાયા ને મૈત્રીની મ્હેંકથી વાતાવરણ સુગંધિત થઇ ગયું ..!!! ..

ગીત ગાતા ગાતા શુભનું ધ્યાન પેલા કાર્ડસ તરફ ગયું..તેણે બધા જ કાર્ડસ ફાડી નાખ્યા અને એક નવું કાર્ડ લખવા બેસી ગયો..!!

***

Related Posts
ફ્રેન્ડશીપ
દોસ્તી

***

વીણેલા મોતી…

By samnvay, July 15, 2010 12:08 am

તરફડાટ એટલે તમે કહેશો…જલ બહાર આણેલા કોઈ મીનને પૂછી જુઓ,
પણ ઘૂઘવતા ઉદધિની ભીતર જે કોરું કોરું તરફડે એને તમે શું કહેશો?

- પન્ના નાયક

નયનને બંધ રાખીને…

By samnvay, July 13, 2010 3:13 pm


કવિશ્રી બરકત વિરાણી(બેફામ)ના સુંદર શબ્દોથી મઢેલી આ સદાબહાર ગઝલને, રૂડા સંગીત અને શ્રી મનહર ઉધાસ ના સુમધુર સ્વરમાં સાંભળવાની મજા જ કઈક અનેરી છે …!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અશ્રુ વિરહની રાતનાં ખાળી શક્યો નહિ
પાછા નયનનાં નૂરને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ

*

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે
તમે છો એનાં કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!

ઋતુ એક જ હતી પણ, રંગ નહોતો આપણો એકજ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!

પરંતુ અર્થ એનો, એ નથી કે રાત વિતી ગઇ
નહિ તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!

હકિકતમાં જુઓ તો, એ એક સપનું હતું મારું
ખુલ્લી આંખે મેં મારા ઘરનાં દ્વારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!

નહિતર આવી રીતે તો, તરે નહિ લાશ દરીયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!

મારી વેણીમાં…

By samnvay, July 7, 2010 1:37 am

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારી વેણીમાં ચાર ચાર ફૂલ..
અંબોડલે સોહે સોહામણી ઝૂલ..!!

પહેલું ફૂલ… જાણે મારા સસરાજી શોભતા
જાણે પેલું મોગરાંનું ફૂલ
એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
ગંભીર ને સૌમાં અતુલ…

મારી વેણીમાં ચાર ચાર ફૂલ..
અંબોડલે સોહે સોહામણી ઝૂલ..!!

બીજું ફૂલ… જાણે મારા સાસુજી આકરા
જાણે પેલું સૂર્યમુખી ફૂલ
સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું એ ભૂલ…

મારી વેણીમાં ચાર ચાર ફૂલ..
અંબોડલે સોહે સોહામણી ઝૂલ..!!

ત્રીજું ફૂલ…જાણે મારી નણંદ પેલી નાનકી
જાણે પેલું ચંપાનું ફૂલ
જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગૂલ…

મારી વેણીમાં ચાર ચાર ફૂલ..
અંબોડલે સોહે સોહામણી ઝૂલ..!!

ચોથું ફૂલ…જાણે મારા હૈયાના હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ
દિવસે ના બોલે એ મોટાના માનમાં
રાતડીએ બોલે બૂલબૂલ…

મારી વેણીમાં ચાર ચાર ફૂલ..
અંબોડલે સોહે સોહામણી ઝૂલ…!!

…….

આ ગીત પર સ્ફુરેલ પંકિતઓ …

પાંચમું ફૂલ… જાણે પેલા નોકરજી શોભતા
જાણે પેલું વિલાયતી ફૂલ
એની હાજરીથી શોભે સ્ટેટસ કુટુંબનું
બોસ થઇને એ તો સહુને ડરાવતા
કામ ચિંધવાની જો થઇ જાય ભૂલ…!!
બધી વેણીમાં પાંચ પાંચ ફૂલ ..!! :)

વીણેલા મોતી

By samnvay, June 24, 2010 10:02 pm

દિવ્ય પ્રસાદ – દર્શન – 24 April 2010

Remain very quiet, open your mind & your heart to Sri Aurobindo’s influence & mine, withdraw deepinto an inner silence(wich may be had in all circumtences),call me from depths of this silence & you will see me standing there in the center of  your being.

The Mother

ઓમ આનંદમયિ ચૈતન્યમયિ સત્યમયિ પરમે

સાભાર – શ્રી અરવિંદ આશ્રમ પોંડીચેરી.

વીણેલા મોતી…

By samnvay, June 14, 2010 7:50 pm

‘આત્મા અને જીવન એ કોઈ વિરોધી વસ્તુઓ નથી. ઊલટું માણસને જેમ જેમ વધુ આત્મ શક્તિ પ્રાપ્ત થતી જાય છે તેમ તેમ તેની જીવન શક્તિ પણ વધુ સમૃદ્ધ થતી જાય છે. આ સત્યનો સાક્ષાત્કાર કવિતા અને કળાની શક્તિ સૌથી વધુ … કરાવી શકે છે’.

એટલું જ નહિ આ સત્ય અને જીવન અને આત્માની આનંદ તથા સૌંદર્ય સાથે મૂળમાં જે એકરૂપતા છે, તે એકરૂપતા માનવે પ્રાપ્ત કરવાની છે અને આ કાર્ય સાધવામાં કવિતા એ ઘણું મહાન સાધન છે.

- શ્રી સુન્દરમ

*

વીણેલા મોતી…

By samnvay, May 31, 2010 7:44 pm

પ્રણય મિલાવી શકે છે એની અનોખી રીતે જીવન સિતારી
હૃદયના તારે ઉઠે જો દીપક, નયનનાં તારે મલ્હાર આવે…!

- શૂન્ય પાલનપુરી.

‘દીપક’ રાગ ગાવાથી અગ્નિ પ્રગટે અને ‘મલ્હાર’ ગાવાથી મેઘને આવવું પડે.. જીવન રૂપી સિતારના તાર પ્રણય વિના મળી શકે નહી પણ શરત છે કે, હૃદય રૂપી તારમાંથી ‘દીપક’ ના સૂર નીકળવા જોઈએ અને આમ થાય તો કોઈની આંખમાંથી ‘મલ્હાર’ ને વરસવું જ પડે..!

રસાસ્વાદ – રમેશ પુરોહિત.

Panorama theme by Themocracy

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin