home-purple

તમે ન હો તો કોને ફેર પડે છે?…

મિત્ર શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટ લિખિત આ લેખ એકદમ હ્રદયસ્પર્શી અને વાસ્તવિક્તા-પૂર્ણ છે, આપ સહુને પણ જરુર ગમશે ..!!

***

કોઈના વગર કંઈ અટકતું નથી. આ વાત સાચી નથી. એક વ્યક્તિ ન હોય ત્યારે આપણું ઘણુંબધું અટકી અને ભટકી જતું હોય છે. પોતાની એક વ્યક્તિની ગેરહાજરી આખી સૃષ્ટિમાં શૂન્યવકાશ સર્જી દે છે. અને એ જ વ્યક્તિ સાથે હોય ત્યારે આખું જીવન ભર્યુંભર્યું લાગે છે

નફા ને ખોટનો ખ્યાલ ન કર, ફકીર સાથે ભાવતાલ ન કર,

કેમ કે તું નથી તારી મિલકત, દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

– અદમ ટંકારવી

જિંદગી દરરોજ માણસને સવાલો કરતી રહે છે. કેટલાક સવાલો સરળ હોય છે અને કેટલાક અઘરા. સૌથી પહેલો સવાલ એ કે જિંદગી શું છે? દસ માણસોને આ સવાલ પૂછીએ તો કદાચ બધા પાસેથી અલગ અલગ જવાબ મળે. તમને કોઈ પૂછે કે જિંદગી શું છે? તો તમે શું જવાબ આપો? જિંદગી વ્યાખ્યા કરવાની વસ્તુ નથી. જિંદગી વ્યાખ્યા મુજબ ચાલતી પણ નથી. જિંદગી તો જીવવાની એક ઘટના છે. જિંદગીમાં અઢળક ખૂબી છે. ક્યારેક એવું લાગે છે કે આખી દુનિયા મારી છે અને ક્યારેક એવું લાગે છે કે આખી દુનિયામાં મારું કોઈ નથી. આ દુનિયામાં આપણા અસ્તિત્વનો મતલબ શું છે? જિંદગીની ઘણી ફિલસૂફી આજકાલ એસએમએસ અને ઇ-મેલમાં ફરતી રહે છે. રોજ સવારે બે-ચાર મેસેજ મોબાઇલ પર મળી જાય છે જેમાં દોસ્તી, સંબંધ અને પ્રેમથી માંડી જિંદગીની ફિલોસોફીની વાતો હોય છે. ઈ-મેલની મોટિવેશનનાં પડીકાં આવતાં રહે છે અને ફરતાં રહે છે. પાવર પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સ પરત દર પરત ઊઘડતી રહે છે. ઘણા મેસેજ અને ઈ-મેલ ખરેખર દિલને સ્પર્શી જાય એવા હોય છે. પણ તમે ક્યારેય આ સંદેશાઓને સવાલો કર્યા છે? તમને જે વાત કહેવામાં આવી છે એ વાત સાચી છે કે ખોટી એનો તમે વિચાર કરો છો? આપણે મોટા ભાગે કોઈની વાત શા માટે માની લેતાં હોઈએ છીએ? હમણાં એક ઈ-મેલ આવ્યો. હું કોણ છું? એ પછી ઈ-મેલ ઉઘડતો ગયો.આવડું મોટું વિશ્વ, તેમાં પણ અનેક ગ્રહો, તેમાં એક ગ્રહ એટલે આપણી ધરતી. ધરતીના પણ અનેક ખંડો, એક-એક ખંડમાં અનેક દેશ, એક ખંડમાં આપણો દેશ. આપણો દેશ પણ પાછો કેવડો મોટો! કેટલાં બધાં રાજ્યો! એમાં એક આપણું રાજ્ય. આ રાજ્યમાં આપણું એક શહેર. આપણા શહેરમાં પાછા અનેક વિસ્તારો. તેમાં એક આપણો વિસ્તાર,આ વિસ્તારમાં અનેક ગલી, ફળિયાં કે સોસાયટી. એમાં એક આપણું ઘર. આપણા ઘરમાં બે-ચાર કે પાંચ-દસ લોકો. એમાં એક આપણે. માઇક્રોસ્કોપમાં પણ ન દેખાય એવું આપણું અસ્તિત્વ. સરવાળે એવું કે તમે કંઈ જ નથી! તમારા પહેલાં અબજો લોકો આવી ગયા છે અને તમારા પછી પણ આ દુનિયા અટકવાની નથી. રાઇટ. તો પછી સવાલ એ થાય કે ખરેખર આપણી જિંદગીનું કોઈ જ મહત્ત્વ નથી? ના સાવ એવું નથી. તમે દૂરબીન જોયું છે ને? દૂરબીન તમને દૂર હોય એને સાવ નજીક દેખાડે છે. પણ એ જ દૂરબીનને જો ઊંધું કરી દઈએ તો જે નજીક હોય એ પણ દૂર લાગે છે. જિંદગીનું પણ એવું જ છે. તમે જિંદગીને કઈ બાજુથી અને કેવી રીતે જુઓ છો એ મહત્ત્વનું છે. જિંદગીમાં તમારું મહત્ત્વ છે, તમે છો તો જ આખી દુનિયા છે.

આપણે કહીએ છીએ કે કોઈના વગર કંઈ અટકતું નથી. આ વાત સાચી નથી. એક વ્યક્તિ ન હોય ત્યારે આપણું ઘણુંબધું અટકી અને ભટકી જતું હોય છે. પોતાની એક વ્યક્તિની ગેરહાજરી આખી સૃષ્ટિમાં શૂન્યવકાશ સર્જી દે છે. અને એ જ વ્યક્તિ સાથે હોય ત્યારે આખું જીવન ભર્યુંભર્યું લાગે છે. દુનિયામાં કંઈ જ તુચ્છ નથી. બધું જ ભવ્ય છે. બધાંનો મતલબ છે. તમારો પણ કંઈક ઉદ્દેશ, કંઈક અર્થ અને કંઈક મર્મ છે. સૌથી યાદ રાખવા જેવી કોઈ વાત હોય તો એ એક જ છે કે તમે ભલે દુનિયાના એક નાનકડા અંશમાત્ર હોય પણ તમે કોઈની આખી દુનિયા છો.

તમે ક્યારેય વિચાર કર્યો છે કે હું એક ન હોવ તો કોને ફેર પડે છે? ઘણાંને ફેર પડતો હોય છે, કારણ કે તમે કોઈની આખી દુનિયા છો. એને ફેર પડે છે જે તમને ફોન કરીને પૂછે છે કે તું જમ્યો? તું કેમ છે? તારે જ્યાં જવું હતું ત્યાં પહોંચી ગયો? તું ક્યારે આવીશ? તારા વગર મને ગમતું નથી! તું જલદી આવી જા ને! જે તમારી રાહ જુએ છે એને ફેર પડે છે. તમે દૂર હોવ ત્યારે કોને અધૂરું લાગે છે? તમે એના માટે આખું અસ્તિત્વ છો. તમને કોઈએ ક્યારેય એવું કહ્યું છે કે તું મારી દુનિયા છો? કોઈ જાય ત્યારે તમને એવું લાગે છે કે જાણે આખી દુનિયા હાથમાંથી સરકી ગઈ? હા, એવું થતું હોય છે. ઘણી વખત કોઈનો અવાજ ન સાંભળીએ તો પણ સન્નાટા જેવું લાગે છે. પક્ષીઓનો કલરવ અને પ્રકૃતિનું સૌંદર્ય તો જ માણવા જેવું લાગે છે જો કોઈ આપણી સાથે હોય. એક વ્યક્તિની ગેરહાજરીથી બધું જ વ્યર્થ લાગે છે. કંઈ જ સૂઝતું નથી. બધું જ ધૂંધળું અને બિહામણું ભાસે છે. વિરહને તમે ધ્યાનથી નિરખજો, એની બીજી બાજુ છલોછલ પ્રેમ ભર્યો હોય છે. વિરહનો મતલબ તો જ છે જો પ્રેમ હોય! પ્રેમ વગરનો વિરહ ન હોય. વિરહ તો જ આકરો લાગે જો પ્રેમ તીવ્ર હોય.
આપણી ગુજરાતી ભાષામાં એક શબ્દ છે, અહાંગળો. કોઈ એક વ્યક્તિ વગર માણસ ઓગળી જાય છે. પોતાની વ્યક્તિને ગમતું કંઈ નજરે પડે તો આંખો ભીની થઈ જાય છે. જમતી વખતી વિચાર આવી જાય છે કે એ જમ્યો હશે? કે એ જમી હશે? માત્ર પ્રેમીઓ કે પતિ-પત્નીની જ આ વાત થઈ. કોઈ પણ સંબંધમાં આવું થઈ શકે છે. સાસરે ગયેલી દીકરી હોય કે દૂર ભણવા કે નોકરીએ ગયેલો દીકરો હોય! કે પછી એક મિત્ર હોય!
ઘણી વખત સાત મિત્રો હોય પણ એક મિત્રની ગેરહાજરીથી પાર્ટી અધૂરી લાગે છે. બધાં મળીએ ત્યારે એ જ વાત થાય કે એ નથી, એ હોય તો જલસો પડી જાય. આવા સમયે મિત્રને ફોન કરીને કહીએ છીએ કે યાર બધાં છે પણ તું નથી. વી મિસ યુ લાઇક એનિથિંગ. દૂર રહેલા મિત્રને પણ દોડીને કે ઊડીને ત્યાં પહોંચી જવાનું મન થાય છે પણ જઈ શકાતું નથી. આંખના કોરાણે કંઈક ભેજ જેવું લાગે છે. બસ આ તમારી દુનિયા છે અને તમે એની દુનિયા છો. કોઈ પણ એવો પ્રેમી કે પ્રેમિકા નહીં હોય જે વિરહની ઘડીમાં પોતાની વ્યક્તિને યાદ કરી એટલિસ્ટ એક વાર રડી નહીં હોય! મારે કંઈ નથી જોઈતું, બસ તું આવી જા! તું હોય તો એવું લાગે છે જાણે બધું જ મળી ગયું! હા, તમે એક ન હોવ તો ઘણાને ફેર પડે છે.

તમે બસ આટલું કરો કે તમારાથી જેને ફેર પડે છે એને તમે જતનપૂર્વક સાચવી રાખો, અઢળક પ્રેમ કરો, કારણ કે તમો એની દુનિયા છો, અને એ જ તમારી દુનિયા છે…!

છેલ્લો સીન –
આપણે બધા પ્રેમ કરવા માટે જ જન્મ્યા છીએ. આ જ અસ્તિત્વનો સિદ્ધાંત છે અને એકમાત્ર અંત છે.

– શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

14 Responses to તમે ન હો તો કોને ફેર પડે છે?…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to pravina Avinash Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Labhshankar Bharad says:

    ખૂબ જ સુંદર-હૃદયસ્પર્શી લેખ, ધન્યવાદ- શ્રી. કૃષ્ણકાંતભાઈ !

  2. pragnaju says:

    સુંદર લેખ

    ઘણાબધાની જેમ અમને તમારા બ્લોગનો અહાંગળો થયો છે

    આપણે બધા પ્રેમ કરવા માટે જ જન્મ્યા છીએ. આ જ અસ્તિત્વનો સિદ્ધાંત છે અને એકમાત્ર અંત છે.
    – ડિઝરાયલીનું ચિંતન છે.

    • samnvay says:

      માનનીય શ્રી પ્રજ્ઞાબહેન, આપનો સ્નેહ અને ભાવપૂર્ણ પ્રતિભાવ વા્ંચી ખુબ જ ખુશી થઈ ..આ ”અહાંગળો” પણ આપણા સહુ વચ્ચેનું અનોખુંબંધન જ દર્શાવે છે ને ..? અને ખરી વાત છે કે હમણા ચાર દેશો વચ્ચે સતત ફરતા રહેવાનું થવાથી બ્લોગ નિયમિત અપડેટ થઈ શક્તો નથી . પરંતુ બનતી કોશીશ જરુર કરું છું ..! સમન્વય પર આપ સહુના પગલાથી જ રોનક વધે છે.. !! આભાર સહ વંદન ..!

  3. Vinod Patel says:

    ચેતનાબહેન,

    જો લખાણની કોપી થઇ શકે તો ઘણું જ સારું રહેશે શક્ય હોય તો લખાણની નકલ કરવાની પરવાનગી આપશો.

    વિનોદ પટેલ

    • samnvay says:

      શ્રી વિનોદભાઈ, આ માટે શ્રી કૃષ્ણકાંતભાઈની પરવાનગી જરુરી છે..

  4. હૃદયસ્પર્શી લેખ ખુબ જ ગમ્યો.

  5. Who will cry when you die.

    Most of the time it does not make any difference.

    there are some exceptions

  6. Jay Bhatt says:

    ખુબ જ સરસ લેખ, કૃષ્ણકાંતભાઈનો આ લેખ અહી પોસ્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર. સવેદના અને લાગણીસભર બંધનોથી છવાયેલી આ દુનિયા દિલને સ્પર્શતી મિત્રતા પામવા માટે હંમેશા આતુર જ હોય છે. મુંબઈ છોડીને અમેરિકા આવવાનું પહેલી વખત થયું એ પહેલા બધા મિત્રો ભેગા થયા હતા. આખી રાત જાગી ખુબ વાતો કરી હતી…ખબર હતી કે હવે ક્યારે મળાશે.. નવા મિત્રો થયા અહી આવીને… પણ મિત્રતાનો સબક આપનારી એ સૌથી જૂની મૈત્રી ક્યારેય ન ભૂલાય…

  7. શ્રી કૃશ્નાકાંત ભાઈ ના લેખ લાગણી સભર અને વિચાર પ્રેરક ભાવનાઓથી ભરપુર હોય છે.

  8. Neela says:

    કોઈના વગર દુનિયા અટકતી નથી પણ જેણે ખોયું છે તેની દુનિયા જરૂરથી અટકી જાય છે. એતો જેની પર વિતે તેને ખબર પડે.

  9. કૌશિક says:

    ખુબ જ સુંદર રચના મુકી આપે ચેતનાબહેન..
    સાચે જ જો આપણે જરા એ વિચારીયે કે આપણને ચાહવા વાડા કેટલા છે તો મન ખુશ થઈ જાય છે,

  10. dilip says:

    કશુ નક્કામુ નથી નિરુપયોગી નથી.. અપશુકન નથી..પરસ્પરમ ભાવયન્તઃ શ્રેય પરમવ્યાપ્યસઃ આમ ગીતાજીમાં કહ્યુ છે..માણસ એકલો રહી શકતો નથી ને બીજા વિના ચાલતું નથી..કહેવાતા વેદાંતે, ભ્રાંત તત્વજ્ઞાને સત્યાનાશ વાળ્યો છે અને નિરાશાવાદ ઘેરાઈ ગયો છે..કોઈ કોઈનું નથી અને કોઈને કોઈની જરુર નથી..વિનોબા ભાવેને કોઈએ પ્રશન કર્યો..કે પ્રભુએ વાઘ શા માટે બનાવ્યો..તેને કોની જરુર..? શું ફેર પડતે..?..જવાબમાં, વાઘણને તો જરુર છે એમ કહ્યું !

  11. Ketan Shah says:

    Nice Article
    I always love to read Shri Krishnakantji’s articles.

  12. Rajendra says:

    અમારા સૌને સાલમુબારક…નુતન વર્ષાભિનંદન…
    આજ મુબારક…કાલ મુબારક… સૌને મારા વ્હાલ મુબારક…
    સૌને મારા પ્યાર મુબારક…સૌને મારા વંદન મુબારક…
    આપણાં સૌનું અનોખું બંધન…! કેટલું સુંદર અને પાવન નામ છે? સાંભળીને જ અલૌકિક અનુભૂતિ મહેસુસ થાય…! જાણે કે પૂર્વ-જન્મનું કોઈ ઋણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું જ્બંધન…! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે… આપણાં સૌના વચ્ચે પણ આવુંજ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ-પરમાત્મા પાસે હાર્દિક પ્રાર્થના..!
    આપણે બસ એટલુંજ કરીએ…આપણાં અનોખાબંધનો-સંબંધો ને જતનપૂર્વક સાચવી રાખીએ…એ સંબંધોને અઢળક પ્રેમ કરીએ…કારણ કે એજ આપણી દુનિયા છે…અને આપણે જ એમની દુનિયા…
    ” આવનારા સૌ દિવસો આપ સૌના જીવનમાં સુખ-સફળતા-શાંતિ-સ્વાસ્થ્યસભર અને ખુશીઓના નિત નવા ટહુકા રેલાવતા આવે…એવી…સુરીલી…રસીલી…હાર્દિક શુભકામનાઓ સાથે…
    સ્વર્ગ યહીં નર્ક યહાં
    ઇસકે સિવા જાના કહાં….
    જી ચાહે જબ હમકો આવાઝ દો
    હમ હૈ વહીં હમ થે જહાં…
    કલ ખેલ મેં હમ હો ના હો
    ગર્દિશ મેં તારે રહેંગે સદા
    ભૂલેંગે વો ભૂલોગે તુમ
    પર હમ તુમ્હારે રહેંગે સદા…..

    આપના સૌના હૃદયમાં વિરાજમાન પરમકૃપાળુ પરમાત્મા ને રાજુ ના વંદન…

    કનુભાઈ વ્યાસ, ધર્મિષ્ઠાબેન, નીલમ(ચકુ), વિપુલ, અસ્મિતા(ગોપી), શ્રુતિ, ઋષિ, શિખા સર્વે ના “જય શ્રી કૃષ્ણ” સાથે નુતન-વર્ષાભિનંદન…